ભરત સોંદરવા હત્યા કેસમાં રી-પીએમ અને SITની માંગ:​ભરત સોંદરવા હત્યા કેસમાં ન્યાય માટે જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજે આઇજી ને પાઠવ્યું આવેદનપત્ર: 1 જૂનથી આઈ.જી. કચેરી સામે ઉપવાસ આંદોલનની ચીમકી

Gujarat5/14/2026, 8:39:22 AM
ભરત સોંદરવા હત્યા કેસમાં રી-પીએમ અને SITની માંગ:​ભરત સોંદરવા હત્યા કેસમાં ન્યાય માટે જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજે આઇજી ને પાઠવ્યું આવેદનપત્ર: 1 જૂનથી આઈ.જી. કચેરી સામે ઉપવાસ આંદોલનની ચીમકી
​જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જૂથળ ગામના યુવા દલિત આગેવાન ભરતભાઈ સોંદરવાના શંકાસ્પદ મૃત્યુ અને હત્યાના કેસમાં બે માસથી વધુ સમય વીતવા છતાં પોલીસ તપાસમાં કોઈ પ્રગતિ ન જણાતા અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે સત્ય બહાર લાવવા અને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા રેન્જ આઈ.જી. કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને તીક્ષ્ણ માંગણીઓ કરવામાં આવી છે. ​જૂથળ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભરતભાઈ સોંદરવાની ગત તારીખ 7-3-2026ના ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રમરેચી ગામેથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે તાલાલા પોલીસ મથકમાં બી.એન.એસ.ની કલમ 103(1) અને 115(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, ઘટનાના બે મહિના અને આઠ દિવસ જેટલો સમય પસાર થવા છતાં ગીર-સોમનાથ પોલીસ હત્યાના ચોક્કસ કારણો કે આરોપીઓ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે. ​આવેદનપત્રમાં સમાજના આગેવાનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે સામાન્ય બનાવોમાં પોલીસ તત્કાલ પ્રેસ કોન્ફરન્સ કરી વિગતો જાહેર કરતી હોય છે, પરંતુ આ હાઈ-પ્રોફાઈલ હત્યા કેસમાં પોલીસ મીડિયા સમક્ષ આવતા પણ ખચકાય છે. પોલીસની આ શંકાસ્પદ ભૂમિકાને પગલે સમગ્ર પ્રકરણને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની ભીતિ સેવાઈ રહી છે. ન્યાયના હિતમાં હવે બી.એન.એસ.એસ.ની કલમ 196 મુજબ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની ઉપસ્થિતિમાં મૃતદેહને બહાર કાઢી, જામનગરની સર જી.જી. હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પેનલ દ્વારા વીડિયોગ્રાફી સાથે રી-પીએમ કરવાની માંગ કરવામાં આવી છે. ​જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ દેવદાનભાઈ મૂછડીયાએ જણાવ્યું હતું કે ગીર-સોમનાથ પોલીસની તપાસમાં અમને કોઈ સંતોષકારક પરિણામ જોવા મળ્યું નથી. અમે આઈ.જી. સાહેબને મળીને માંગ કરી છે કે આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવે અથવા તપાસ સી.આઈ.ડી.ને સોંપવામાં આવે. જો તંત્ર દ્વારા રી-પીએમની માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો સમાજના આગેવાનો અને પીડિત પરિવાર પોતે કાયદાકીય લડત આપીને સત્ય શોધવા માટે મજબૂર બનશે. ​વધુમાં, આવેદનપત્રમાં તંત્રને અલ્ટીમેટમ આપતા જણાવવામાં આવ્યું છે કે જો આગામી 15 દિવસમાં એટલે કે તારીખ 1-6-2026 સુધીમાં આ કેસમાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે અને દૂધનું દૂધ તથા પાણીનું પાણી નહીં થાય, તો અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને પીડિત પરિવાર જૂનાગઢ સ્થિત રેન્જ આઈ.જી. કચેરીની સામે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરશે. સમાજમાં વ્યાપેલી અશાંતિ અને ન્યાય માટેની તત્પરતાને ધ્યાને લઈ વહીવટી તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ સાથે આ આવેદનપત્રની નકલ રાજ્યપાલ, મુખ્યમંત્રી અને માનવ અધિકાર આયોગ સહિતના ઉચ્ચ સ્તરે મોકલી આપવામાં આવી છે.
Read Original Article →