'બેબેસિયોસિસ'નું જોખમ ટાળવા પશુપાલન વિભાગ એક્શન મોડમાં:88 નેસ અને ગામોના 13,000થી વધુ પશુઓ પર દવા છંટકાવ શરૂ
ગીરના જંગલમાં એશિયાટીક સિંહોના જીવ પર જોખમ ઊભું કરનારા જીવલેણ ‘બેબેસિયોસિસ’રોગચાળાને નાથવા માટે જૂનાગઢ પશુપાલન વિભાગ સંપૂર્ણપણે આક્રમક મોડમાં આવ્યું છે. ગીરના જંગલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સિંહોના અકાળે મોત થઈ રહ્યા છે, જેમાં પ્રાથમિક તારણો મુજબ આ જીવલેણ રોગ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જંગલ વિસ્તારમાં ગાય, ભેંસ સહિતના પાલતુ પશુઓમાં ઈતરડીના અતિશય ઉપદ્રવને કારણે ફેલાયેલા આ જીવલેણ બેબિસીયા રોગચાળાએ વનતંત્ર અને પશુપાલન વિભાગની ચિંતામાં મોટો વધારો કર્યો છે. 13,000થી વધુ પશુઓ પર દવા છંટકાવ સહિતની પ્રક્રિયા પૂર્ણ
આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈને પશુપાલન વિભાગે હવે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે, જેથી સિંહોમાં ફેલાતા આ સંક્રમણને અટકાવી શકાય. આ માટે વન વિસ્તારની આસપાસના ગામો અને નેસડાઓમાં વસતા માલધારીઓના માલઢોર માટે એક સઘન 'ટીક કંટ્રોલ પ્રોગ્રામ' અમલી બનાવવામાં આવ્યો છે. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારના આજુબાજુના 88થી 89 જેટલા સંવેદનશીલ વિસ્તારોને લક્ષ્ય બનાવીને અત્યાર સુધીમાં 13,000થી વધુ પશુઓ પર દવા છંટકાવ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને હજુ પણ જુદા જુદા વિસ્તારોમાં આ કામગીરી વેગવંતી રીતે ચલાવવામાં આવી રહી છે, જેથી વનરાજ પર મંડરાતું આ સંક્રમણનું જોખમ મહદઅંશે ઘટાડી શકાય. 'એકેરીસાઈડ' દવાનો છંટકાવ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ
જુનાગઢના નાયબ પશુપાલન નિયામક ડી.ડી. પાનેરા એ જણાવ્યું હતું કે, તાજેતરમાં ગીર જંગલ વિસ્તારમાં વસતા સિંહોમાં 'બેબેસિયોસિસ' નામનો ગંભીર રોગ જોવા મળ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ગીરના નેસ એરિયા અને તેની આજુબાજુના જે ગામો છે, ત્યાં વસવાટ કરતા તમામ ડોમેસ્ટિક પશુઓ એટલે કે માલધારીઓના પાલતુ પશુઓમાં ઈતરડીના ઉપદ્રવને સંપૂર્ણપણે કંટ્રોલ કરવા માટે ખાસ 'એકેરીસાઈડ' દવાનો છંટકાવ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. તેને વધુમાં કહ્યું કે, અત્યાર સુધીમાં જંગલ વિસ્તારની આસપાસના આઈડેન્ટીફાય થયેલા અંદાજે 88 જેટલા નેસ એરિયા અને ગામોને અમે આવરી લીધા છે, જેમાં વસતા 13,000 જેટલા પાલતુ પશુઓને અત્યાર સુધીમાં એકેરીસાઈડ દવાનો છંટકાવ કરી સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આગામી સમયમાં બાકી રહેતા અન્ય તમામ પશુઓને પણ આ દવાનો છંટકાવ કરીને ટૂંક સમયમાં જ કવર કરી લેવામાં આવશે. 'ઈતરડી લોહી ચૂસીને પાલતુ પશુઓના સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડે છે'
આ આખી ઝુંબેશ દરમિયાન પશુઓમાં માત્ર બાહ્ય પરોપજીવીઓનો નાશ જ નથી કરાઈ રહ્યો, પરંતુ તેની સાથે-સાથે આ પશુઓમાં 'ડીવર્મિંગ' એટલે કે પેટના કૃમિનાશક દવાની પ્રક્રિયા અને જ્યાં પણ જરૂરિયાત જણાય છે ત્યાં ચોમાસા પૂર્વેનું રસીકરણ કરવાની કામગીરી પણ સમાંતર રીતે હાથ ધરવામાં આવી રહી છે, જેથી આગામી ચોમાસાની ઋતુ દરમિયાન આપણે આ તમામ પશુઓને સંપૂર્ણપણે રોગમુક્ત કરી શકીએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, પશુઓના શરીર ઉપર જે ઈતરડી લાગેલી હોય છે તે મૂળભૂત રીતે 'બ્લડ સકિંગ પેરાસાઈટ' એટલે કે લોહી ચૂસતા પરોપજીવી જીવ છે, જે લોહી ચૂસીને પાલતુ પશુઓના સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડે છે. ‘સિંહોમાં પણ આ જીવલેણ રોગ થવાની પૂરેપૂરી સંભાવના’
હવે જો કોઈ પાલતુ પશુમાં આ બેબેસિયોસિસ રોગના વાયરસ હોય અને આ ઈતરડી તેનું લોહી ચૂસે, ત્યારબાદ જ્યારે આ પશુઓ જંગલમાં ચરવા જાય છે અને ત્યાં ચરવા જતાં જો તે કોઈ વન્યજીવ કે સિંહોના સીધા અથવા આડકતરા સંપર્કમાં આવે છે અને એ ઈતરડી જો સિંહને બાઈટ કરે (કરડે), તો સિંહોમાં પણ આ જીવલેણ રોગ થવાની પૂરેપૂરી સંભાવના રહેતી હોય છે. સિંહોમાં આ ચેપનું ચક્ર આગળ ન વધે અને સંક્રમણ અટકે તે માટે પશુઓનું 'ડી-ટિકિંગ' કરવું એટલે કે તેમના શરીરમાંથી ઈતરડી દૂર કરવી અનિવાર્ય છે. જો સમયસર પશુઓ પર એકેરીસાઈડનો છંટકાવ કરવામાં આવે તો આ જીવલેણ રોગચાળાને આપણે મહદઅંશે કંટ્રોલ કરી શકીએ છીએ. હાલ પશુપાલન વિભાગની ટીમો સતત કાર્યરત છે અને આગામી દિવસોમાં બાકીના તમામ પશુઓને પણ આ સુરક્ષા કવચ હેઠળ લાવી દેવાશે.
Read Original Article →