મંત્રી રિવાબા જાડેજા પુરુષોત્તમ માસની ભક્તિમાં ગુલાલથી રંગાયા:ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે સ્થાનિક મહિલાઓ સાથે રાસ-ગરબા કર્યા
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ હાજરી આપી હતી. તેમણે સામાન્ય ભક્તોની જેમ મહિલાઓ સાથે રાસ, ગરબા અને કીર્તનમાં ભાગ લીધો હતો. સ્થાનિક મહિલા સત્સંગ મંડળ દ્વારા પુરુષોત્તમ માસના ઉપલક્ષ્યમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મંત્રી રિવાબા જાડેજાને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીએ ભગવાન ઇન્દ્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કર્યું હતું. આ તકે તેમણે સમગ્ર રાજ્યની જનતાની સુખ, શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં કીર્તન અને સત્સંગ દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ઉપસ્થિત મહિલા ભક્તોનો ઉત્સાહ જોઈને મંત્રી રિવાબા જાડેજા પણ તેમની સાથે રાસ-ગરબાની રમઝટમાં જોડાયા હતા. પરંપરાગત ભક્તિ સંગીતના તાલે મંત્રી અને સ્થાનિક મહિલાઓએ ગરબે ઘૂમીને પુરુષોત્તમ માસની આરાધના કરી હતી. આ ધાર્મિક ઉત્સવ દરમિયાન મહિલા સત્સંગ મંડળ દ્વારા મંત્રી રિવાબા જાડેજાનું ગુલાલ લગાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર વિસ્તારના અગ્રણી આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →