જામનગર પક્ષીઘરમાં ગરમીથી રાહત માટે ખાસ વ્યવસ્થા:રણમલ લેકના પક્ષીઘરમાં પાણીના ફૂવારા કાર્યરત કરાયા
જામનગર મહાનગરપાલિકાએ રણમલ લેક સ્થિત પક્ષીઘરમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી પક્ષીઓને રાહત આપવા વિશેષ આયોજન કર્યું છે. પક્ષીઘરના પાંજરાઓમાં આધુનિક પાણીના ફૂવારા અને ઠંડકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રણમલ લેકના મધ્યભાગમાં આવેલા આ પક્ષીઘરમાં લવબર્ડ, બજરિગર સહિત વિવિધ છ પ્રજાતિના આશરે ચારસો જેટલા રંગબેરંગી પક્ષીઓ વસવાટ કરે છે. તેમના માટે ૨૦ જેટલા વિશાળ પાંજરાઓ બનાવવામાં આવ્યા છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને દરેક પાંજરામાં ખાસ પ્રકારના પાણીના ફૂવારા કાર્યરત કરાયા છે. આ ફૂવારા સતત પાણીનો છંટકાવ કરીને ઠંડકનું વાતાવરણ જાળવી રાખે છે, જેથી પક્ષીઓને ગરમીમાં રાહત મળે. મહાનગરપાલિકા દ્વારા બપોરના સમયે ખાસ સમયગાળા દરમિયાન આ ફૂવારા ચાલુ રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વહેલી સવારે પક્ષીઓને ખોરાક અપાય છે, ત્યારબાદ બપોરે ખોરાકની ટ્રે દૂર કરી ફૂવારા શરૂ કરાય છે. સાંજે ફૂવારા બંધ કરી ફરી ખોરાક આપવામાં આવે છે. મનપા તંત્ર દ્વારા જણાવાયું છે કે આ સંપૂર્ણ વ્યવસ્થા પક્ષીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ આયોજન કમિશ્નર ડી. એન. મોદી, આસિસ્ટન્ટ કમિશ્નર ભાવેશ જાની, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની, વર્ક આસિસ્ટન્ટ જીગર જોશી અને હિરેન સોલંકીના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યું છે. શહેરમાં વધી રહેલી ગરમી વચ્ચે મહાનગરપાલિકાના આ પ્રયાસને પક્ષીપ્રેમીઓ દ્વારા પણ પ્રશંસા મળી રહી છે.
Read Original Article →