જામનગરમાં હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિએ નવકાર દિવસ ઉજવ્યો:ઓશવાળ સેન્ટર ખાતે હજારો જ્ઞાતિજનોએ સમૂહ જાપ કર્યા

Gujarat4/9/2026, 6:24:57 AM
જામનગરમાં હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિએ નવકાર દિવસ ઉજવ્યો:ઓશવાળ સેન્ટર ખાતે હજારો જ્ઞાતિજનોએ સમૂહ જાપ કર્યા
જામનગરમાં હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિ દ્વારા 'વિશ્વ નવકાર મહામંત્ર દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. JITO દ્વારા 9 એપ્રિલ, 2026ના રોજ વિશ્વભરમાં આ દિવસની ઉજવણીનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે ઓશવાળ સેન્ટર ખાતે હજારો જ્ઞાતિજનોએ સમૂહ નવકાર જાપ કરી વિશ્વ કલ્યાણની કામના કરી હતી. આ પ્રસંગે નિર્ધારિત ડ્રેસ કોડ મુજબ, પુરુષો સફેદ વસ્ત્રોમાં અને મહિલાઓ કેસરી વસ્ત્રોમાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. હજારોની સંખ્યામાં જ્ઞાતિજનોની હાજરીથી ઓશવાળ સેન્ટરનું પ્રાંગણ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. એકસાથે ગુંજી ઉઠેલા નવકાર મહામંત્રના નાદથી સમગ્ર વાતાવરણ પવિત્ર બન્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના મુખ્ય સાત સંઘોએ સક્રિય સહભાગિતા નોંધાવી હતી. તેમાં દિગ્વિજય પ્લોટ જૈન સંઘ, ઓશવાળ કોલોની જૈન સંઘ, કામદાર કોલોની જૈન સંઘ, મેહુલનગર જૈન સંઘ, ચંપા વિહાર જૈન સંઘ, સાધના કોલોની જૈન સંઘ અને મોહનનગર જૈન સંઘનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અંતે જ્ઞાતિના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, નવકાર મંત્ર એ જૈન ધર્મનું હૃદય છે. જ્યારે હજારો આત્માઓ એકસાથે મળીને આ મહામંત્રનો જાપ કરે છે, ત્યારે તેની સકારાત્મક ઊર્જા વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવવા બદલ તમામ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિની એકતા અને ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક બની રહ્યું હતું.
Read Original Article →