વિઠ્ઠલભાઈએ પથરાળ ડુંગર પર 25,000 વૃક્ષ ઉછેર્યા:22 વર્ષની મહેનતથી 100 વીઘા જમીનને હરિયાળી બનાવી; પાણી માટેના 36 બોરવેલમાંથી 34 નિષ્ફળ ગયા છતાં અટક્યા નહીં
જામનગરના 58 વર્ષીય પર્યાવરણ પ્રેમી વિઠ્ઠલભાઈ મુંગરાએ એક અનોખું કાર્ય કર્યું છે. તેમણે જામનગર નજીક ઠેબા ગામ પાસે આવેલા સૂકાભઠ્ઠ 'બે ભાઈના ડુંગર' વિસ્તારને પોતાની 22 વર્ષની અથાક મહેનતથી 25,000 વૃક્ષથી ભરપૂર સઘન વનમાં ફેરવી નાખ્યો છે. આજે આશરે 2 કિલોમીટરની ત્રિજ્યામાં ગીચ હરિયાળી અને પક્ષીઓનો કલરવ જોવા મળે છે. વિઠ્ઠલભાઈના આ ભગીરથ કાર્ય પાછળ એક સંકલ્પ છુપાયેલો છે. ભૂતકાળમાં તેઓ ગંભીર અલ્સરની બીમારીનો ભોગ બન્યા હતા. વિઠ્ઠલભાઈ જણાવે છે કે, "મને મોતના મુખમાંથી કુદરતે જ ઉગાર્યો છે. ત્યારથી મેં તમામ વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લઈ વૃક્ષ દેવતાની સેવામાં જીવન સમર્પિત કરી દીધું." શરૂઆતમાં સ્થાનિક કોર્પોરેટર દ્વારા મળેલા 200 વૃક્ષના પાંજરાથી આ સફર શરૂ થઈ હતી. આજે વન વિભાગ અને અન્ય સંસ્થાઓના સહયોગથી આ સંખ્યા 25 હજાર વૃક્ષો સુધી પહોંચી ગઈ છે. ડુંગરાળ અને પથરાળ જમીન પર વૃક્ષો ઉછેરવા એ મોટો પડકાર હતો, ખાસ કરીને પાણીનો. આ વિસ્તારમાં પાણી મેળવવા માટે 36 વખત બોરવેલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 34 બોર નિષ્ફળ ગયા હતા. આમ છતાં વિઠ્ઠલભાઈએ હિંમત ન હારી. માત્ર 2 સફળ બોરમાંથી મળેલા પાણીનો તેમણે ટપક સિંચાઈ (ડ્રિપ ઈરિગેશન) અને ફુવારા પદ્ધતિ દ્વારા સ્માર્ટ ઉપયોગ કર્યો, જેનાથી એક પણ વૃક્ષને મુરઝાવા દીધું નહીં. આજે આ વનમાં પીપળો, કરંજ, લીમડો, દાડમ, આંબલી, જામફળ, સીતાફળ અને બોરસલી જેવા હજારો ફળદાયી અને છાયા આપતા વૃક્ષો લહેરાઈ રહ્યા છે. આ વૃક્ષો પક્ષીઓ માટે ઉત્તમ આશ્રયસ્થાન અને ખોરાકનો સ્ત્રોત બન્યા છે. વિઠ્ઠલભાઈ રોજ સવારે પોતાના ઘરેથી 15 કિલોમીટર દૂર આ ડુંગરે આવી પહોંચે છે અને સાંજ સુધી વૃક્ષોની ચાકરી કરે છે. તેમનો આખો દિવસ આ છોડવાઓને સંતાનની જેમ ઉછેરવામાં જ પસાર થાય છે. યોગાનુયોગ, વિઠ્ઠલભાઈનો જન્મદિવસ 5મી જૂન એટલે કે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના રોજ જ આવે છે, અને તેઓ દર વર્ષે સઘન વૃક્ષારોપણ કરીને જ પોતાનો જન્મદિવસ ઉજવે છે.
Read Original Article →