જામનગરના વાલકેશ્વરી રોડ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો:ભરબપોરે લોકોના ટોળા એકઠા થયાં, સીટી 'બી' પોલીસે તપાસ શરૂ કરી

Gujarat6/10/2026, 10:21:03 AM
જામનગરના વાલકેશ્વરી રોડ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો:ભરબપોરે લોકોના ટોળા એકઠા થયાં, સીટી 'બી' પોલીસે તપાસ શરૂ કરી
જામનગરના પોશ ગણાતા વાલકેશ્વરી મેન રોડ પર આજે ભરબપોરે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકો અને રાહદારીઓમાં આશ્ચર્ય ફેલાયું હતું. મળતી માહિતી મુજબ, વાલકેશ્વરી મેન રોડ પરથી પસાર થઈ રહેલા રાહદારીઓએ રોડ કિનારે અચેત અવસ્થામાં પડેલા એક પુરુષને જોયો હતો. નજીક જઈને તપાસ કરતા માલૂમ પડ્યું કે તે વ્યક્તિ જીવિત નથી. વ્યસ્ત રોડ પર મૃતદેહ હોવાની વાત વાયુવેગે પ્રસરતા જ ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટના અંગે તાત્કાલિક જામનગર સીટી 'બી' ડિવિઝન પોલીસ મથકને જાણ કરવામાં આવતા, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. આસપાસના લોકોની હાજરીમાં પંચનામું કર્યા બાદ, મૃતદેહને ઓળખ મેળવવા અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલમાં આ મૃતક પુરુષ કોણ છે અને ક્યાંનો વતની છે તે અંગે કોઈ વિગત મળી શકી નથી. સીટી 'બી' પોલીસ સ્ટાફ દ્વારા તેની ઓળખ વિધિ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. પોલીસ આ વ્યક્તિનું મોત અકસ્માત, અચાનક આવેલી બીમારી, હાર્ટ એટેક કે પછી કોઈ શંકાસ્પદ કારણોસર થયું છે તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, "મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો ચાલુ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું અને સચોટ કારણ સ્પષ્ટ થઈ શકશે, અને તે દિશામાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે."
Read Original Article →