જામનગરમાં ABVPની ચીમકી:FRC નિયમોનું પાલન ન થતાં ખાનગી શાળાઓ સામે ઉગ્ર આંદોલનની ચેતવણી
જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા ખાનગી શાળાઓમાં ફી નિયમન કમિટી (FRC)ના નિયમોના ઉલ્લંઘન અંગે જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. ABVPએ ચેતવણી આપી છે કે જો આગામી સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ABVP જામનગરના નગર મંત્રી ઉત્સવ પંડ્યાએ જણાવ્યું હતું કે, FRC દ્વારા ખાનગી શાળાઓ માટે ફીના ચોક્કસ નિયમો અને માળખું નિર્ધારિત કરવામાં આવ્યું છે. તેમ છતાં, જામનગરની મોટાભાગની ખાનગી શાળાઓ આ નિયમોનું પાલન કરતી નથી અને વાલીઓ પાસેથી મનસ્વી રીતે ફી વસૂલી રહી છે. આવેદનપત્રમાં ABVPએ જણાવ્યું છે કે FRC દ્વારા નિર્ધારિત ફી ધોરણો માત્ર કાગળ પર જ સીમિત છે અને તેનું અમલીકરણ થતું નથી. ઘણી ખાનગી શાળાઓ FRCના નિયમોમાં રહેલી છટકબારીઓનો ઉપયોગ કરીને વધુ ફી વસૂલી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્સવ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, જો આગામી સાત દિવસમાં શહેરની તમામ ખાનગી શાળાઓમાં FRCના નિયમોનું કડક અમલીકરણ શરૂ નહીં થાય, તો ABVP દ્વારા શાળાઓ સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક પ્રશાસનની રહેશે.
Read Original Article →