જામનગરમાં જળાશયો, ખુલ્લા પ્લોટની સફાઈ:ચોમાસા પૂર્વે વહીવટી તંત્રની સ્વચ્છતા ઝુંબેશ
જામનગર જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને, આજે 10 જૂનના રોજ તમામ મહત્વના જળાશયો, તળાવો અને ખુલ્લા પ્લોટોની સઘન સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે 5 જૂનથી 21 જૂન, 2026 દરમિયાન આયોજિત જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનો એક ભાગ છે. આ ઝુંબેશ અંતર્ગત ગામના તળાવો, નદી કિનારા, મુખ્ય જળાશયો અને સરકારી કે ખાનગી ખુલ્લા પ્લોટોમાં એકત્રિત થયેલો કચરો તેમજ બિનજરૂરી ઝાંખરા-ઝાડીઓની વ્યાપક સફાઈ કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન રોગચાળો ન ફેલાય તે હેતુથી પાણીના ભરાવાવાળા સ્થાનો અને હેન્ડપંપની આસપાસ જમા થયેલા પાણીનો યોગ્ય નિકાલ કરાયો હતો. વહીવટી તંત્ર દ્વારા મચ્છર ઉત્પત્તિ અટકાવવાના ભાગરૂપે સઘન દવા છંટકાવ સહિતના જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા હતા. આ વિશેષ સપ્તાહના પ્રારંભે, 8 જૂનના રોજ વિવિધ શહેરો અને ગામોમાં સાયકલ રેલી, બાઇક રેલી તેમજ પદયાત્રા દ્વારા વ્યાપક જનજાગૃતિ કેળવવામાં આવી હતી. ત્યારબાદ 9 જૂનના રોજ 'પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય, શહેરી દિવસ' અંતર્ગત સઘન પ્લાસ્ટિક સફાઈ અભિયાન હાથ ધરી સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિકાલ અંગે લોકજાગૃતિ કેળવાઈ હતી. આગામી દિવસોના આયોજન મુજબ, 11 જૂનના રોજ જન આરોગ્ય સુખાકારીના ભાગરૂપે ગંદા પાણીના નિકાલની જગ્યાઓ અને ડ્રેનેજ, ગટર વ્યવસ્થાની સફાઈ કરાશે. 12 જૂનના રોજ સ્થાનિક રહીશોના સહયોગથી તમામ શેરીઓ, મહોલ્લાઓ અને મુખ્ય માર્ગોની સફાઈ કરવામાં આવશે. જ્યારે 13 જૂનના રોજ જિલ્લાની તમામ સરકારી કે જાહેર સંસ્થાઓ, શાળાઓ, ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોએ શ્રમદાન દ્વારા વ્યાપક સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. આ વિશેષ ઝુંબેશના અંતિમ દિવસે, 14 જૂનના રોજ નાગરિકોને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવશે તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો અંગે વિગતવાર જાણકારી આપી જાગૃત કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા દ્વારા જામનગર જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં આ તમામ કાર્યક્રમોનું સંચાલન અને દેખરેખ રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. જામનગર જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાના તમામ નાગરિકોને આ ગૌરવશાળી સ્વચ્છતા ઝુંબેશમાં ઉત્સાહભેર જોડાઈને પોતાના ગામ કે શહેરને સ્વચ્છ-સુઘડ રાખવા માટે અપીલ કરી છે.
Read Original Article →