PM મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળની જામનગરમાં ઉજવણી:8 થી 21 જૂન સુધી જનહિતલક્ષી કાર્યક્રમો યોજાશે; જિલ્લા કલેક્ટરે કાર્યક્રમોની વિગતો આપી
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે 8 થી 21 જૂન, 2026 દરમિયાન વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરે કાર્યક્રમોની વિગતો આપતા જણાવ્યું કે, આ ઉજવણી અંતર્ગત ત્રણ મુખ્ય કાર્યક્રમો યોજાશે. જેમાં ‘પ્રગતિ પથ યાત્રા’ દ્વારા સરકારના વિકાસકાર્યો અને સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે. ‘જન કલ્યાણ શિબિર’ મારફતે જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ મળશે, જ્યારે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો સાથે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ અંગે સંવાદ યોજાશે. આ કાર્યક્રમોના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં વૃક્ષારોપણ અભિયાન, સ્વચ્છતા ઝુંબેશ તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરતી વિશેષ કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવશે. ‘જન કલ્યાણ શિબિર’માં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભો એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાશે. નાગરિકોની સુવિધા માટે ‘સેવાસેતુ’ કાર્યક્રમ હેઠળ 55 જેટલી સેવાઓના લાભ સ્થળ પર જ પ્રદાન કરવામાં આવશે, જેમાં કેન્દ્ર સરકારની 15 યોજનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે. જનવિશ્વાસથી જનકલ્યાણ સુધીની 12 વર્ષની આ સફળ યાત્રાની ઉજવણીને લોકભાગીદારીનો ઉત્સવ બનાવવા માટે જિલ્લાના પદાધિકારીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણી નાગરિકો, સંતો-મહંતો, સામાજિક આગેવાનો, યુવાનો અને વિશાળ સંખ્યામાં નાગરિકોને જોડવામાં આવશે. 8 થી 14 જૂન સુધી ચાલનારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેર અને ગામડાઓમાં સાયકલ રેલી, બાઇક રેલી, પદયાત્રા દ્વારા જાગૃતિ લાવવામાં આવશે. આ ઉપરાંત, નો પ્લાસ્ટિક સફાઈ દિવસ, જળાશયો અને ખુલ્લા પ્લોટની સફાઈ, ડ્રેન ટ્રીટમેન્ટ, જાહેર સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોએ સફાઈ, સફાઈ શપથ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોની જાણકારી જેવા કાર્યક્રમો યોજાશે. તા. 15 જૂનના રોજ પ્રભારીમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતી કાર્યશાળાનું આયોજન કરાયું છે. ધન્વંતરી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાનાર વિકસિત ભારત સંમેલનમાં 500 થી વધુ પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહેશે. જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દીપેશ કેડિયાએ જણાવ્યું કે, જામનગર શહેરમાં હાપા રેલવે ઓવરબ્રિજ, ભુજિયો કોઠો, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, લખોટા લેક, બાલા હનુમાન મંદિર અને દેવરાજ દેપારલ ખાતે ‘પ્રગતિ પથ યાત્રા’ યોજાશે. આ સ્થળોએ મુલાકાતીઓ માટે વિવિધ યોજનાઓની માહિતી પણ ઉપલબ્ધ કરાવાશે.
Read Original Article →