જામનગરમાં 6 અતિ જર્જરિત ઇમારતો:મનપા દ્વારા તાત્કાલિક ડિમોલિશનની કાર્યવાહી થશે

Gujarat5/13/2026, 6:51:46 AM
જામનગરમાં 6 અતિ જર્જરિત ઇમારતો:મનપા દ્વારા તાત્કાલિક ડિમોલિશનની કાર્યવાહી થશે
જામનગર મહાનગરપાલિકાએ શહેરની છ અતિ જર્જરિત ઇમારતોને તાત્કાલિક તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. ચોમાસા પૂર્વે સંભવિત અકસ્માતો ટાળવા અને જાનહાનિ રોકવા માટે તંત્ર સક્રિય બન્યું છે. મનપા દ્વારા આ ઇમારતોના ડિમોલિશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી જાહેર સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે હાથ ધરવામાં આવી રહી છે. મનપાના સર્વે બાદ ભયજનક જાહેર કરાયેલી ઇમારતોમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલી ગીતા લોજ, પટેલ કોલોની શેરી નં. 11માં આવેલું મીરા એપાર્ટમેન્ટ અને નવાગામ ઘેડમાં આવેલું લક્ષ્મી એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. ગીતા લોજ ઇમારત અત્યંત ભયજનક હોવાથી તેને ખાલી કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, શરૂ સેક્શન રોડ પરનું ઓધવરામ એપાર્ટમેન્ટ, ગ્રેઇન માર્કેટ પાસેનું જૂનું કસ્ટમ હાઉસ અને જામના ડેરા પાસે આવેલી મનપાની બે જૂની ઓફિસો પણ જર્જરિત જાહેર કરાઈ છે. ઓધવરામ એપાર્ટમેન્ટના નળ કનેક્શન કાપી તેને વપરાશમુક્ત કરાયું છે. મહાનગરપાલિકા દ્વારા મોટાભાગની ભયજનક ઇમારતોને ખાલી કરાવી દેવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે આવા કડક પગલાં લેવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારીએ જણાવ્યું હતું કે, “જાહેર જનતાની સલામતી જાળવવા અને કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે આ તમામ 6 બાંધકામો આગામી નજીકના દિવસોમાં તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.” શહેરના ગીચ વિસ્તારોમાં આવેલી આ ઇમારતોને કારણે આસપાસના રહીશોમાં અકસ્માતનો ભય હતો. ડિમોલિશનની જાહેરાત બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
Read Original Article →