જામનગરમાં અસલમ ખીલજી, અલ્તાફ ખફી ગેંગ પર ગુજસીટોક:રેન્જ IG નિર્લિપ્ત રાયનો સપાટો; 30 શખસ સામે કાર્યવાહી
જામનગરમાં અસામાજિક તત્વો સામે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરી છે. તાજેતરમાં થયેલી મારામારી અને ફાયરિંગની ઘટના બાદ એક્શન મોડમાં આવેલા આઈ.જી.એ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં સક્રિય બે ગેંગ પર ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધ્યો છે. રાજકોટ રેન્જ આઈ.જી. તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાયે જામનગરની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતના માત્ર 10 દિવસમાં જ તેમણે શહેરના વોર્ડ નંબર 12ના બે મુખ્ય જૂથો સામે આ કડક પગલાં લીધા છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે. શહેરના અતિ સંવેદનશીલ પટણીવાડ અને આસપાસના વિસ્તારોમાં આતંક મચાવતી બે મુખ્ય ગેંગ પર ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. આમાં પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીની આગેવાની હેઠળની ગેંગ અને અલ્તાફ ખફી તથા તેના સાગરીતોની ગેંગનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને ગેંગના કુલ 30 જેટલા શખ્સો સામે ગુજસીટોક દાખલ કરવામાં આવ્યો છે. રેન્જ આઈ.જી.ની સૂચના બાદ પોલીસે પટણીવાડ વિસ્તારમાં વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અસલમ ખીલજી સહિત કુલ 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, અલ્તાફ ખફી અને તેના સાગરીતો હાલ જેલમાં જ છે, તેમની સામે પણ જેલમાંથી જ ગુજસીટોક હેઠળ કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. થોડા દિવસો પહેલા આ સંવેદનશીલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામસામે મારામારી અને ફાયરિંગની ઘટના બની હતી, જેના પગલે આઈ.જી. રાયે તાબડતોબ જામનગર દોડી આવીને કાર્યવાહીની રણનીતિ ઘડી હતી. નોંધનીય છે કે રાજકોટ રેન્જ આઈ.જી.નો ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાયની આ ત્રીજી અને જામનગર જિલ્લામાં પ્રથમ ગુજસીટોકની કાર્યવાહી છે. આ કડક કાર્યવાહીને પગલે શહેરના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને અનેક માથાભારે તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જામનગરની જનતાએ પોલીસની આ આક્રમક શૈલીને કારણે રાહતનો શ્વાસ લીધો છે.
Read Original Article →