જામનગરમાં શ્વાનને બિલ્ડિંગ પરથી ફેંકનાર સામે ગુનો નોંધાયો:વીડિયો વાયરલ થતા પશુ પ્રેમીઓએ સારવાર કરાવી, ક્રૂરતાની ફરિયાદ નોંધાઈ
જામનગરમાં પ્રાણી ક્રૂરતાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુકડા કેન્દ્ર આવાસ વિસ્તારમાં એક વ્યક્તિએ શ્વાનના પગ પકડી તેને એપાર્ટમેન્ટની ઉપરની માળ પરથી નીચે ફેંકી દેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવનો એક વીડિયો એપાર્ટમેન્ટમાં જ રહેતા એક વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતા કેટલાક પશુ પ્રેમીઓને જાણ થઈ હતી અને તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પશુ પ્રેમીઓએ ઇજાગ્રસ્ત શ્વાનને તાત્કાલિક પશુ દવાખાનામાં લઈ જઈ સારવાર અપાવી હતી, જેના કારણે શ્વાનનો જીવ બચી ગયો હતો. હાલ તેને પશુ ચિકિત્સકની સારવાર હેઠળના કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. આ બનાવના સંદર્ભમાં પશુ પ્રેમીઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા દાખવનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. આ મામલે ભારતીય ન્યાય સંહિતા- 2023ની કલમ ૩૨૫ તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-1960ની કલમ 11(1)(અ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પશુ પ્રેમી ફરિયાદી રજનીકાંત હર્ષદભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અને તેમની પત્ની પ્રાણી કલ્યાણ સંસ્થા સાથે જોડાયેલા છે. તેમને 8 જૂનના રોજ વોટ્સએપ ગ્રુપમાં એક વીડિયો મળ્યો હતો, જેમાં એક વ્યક્તિ શ્વાનના પગ પકડી તેને બિલ્ડિંગ પરથી નીચે ફેંકતો દેખાતો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘાયલ શ્વાનને ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સારવાર અપાયા બાદ તેને કે-9 સેફ એનિમલ વેલફેર સેન્ટરમાં રાખવામાં આવ્યું છે, જ્યાં તેની સારવાર ચાલુ છે. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી અગાઉ પણ કુતરીના બચ્ચાં સાથે મારપીટ કરી ચૂક્યો છે. ફરિયાદના આધારે પોલીસે કુકડા કેન્દ્ર આવાસના બ્લોક-ઈમાં રહેતા ‘પપુ’ તરીકે ઓળખાતા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા વીડિયો, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
Read Original Article →