જામનગરમાં શનિ જયંતી: મંદિરોમાં ભક્તોની ભીડ:ઇચ્છેશ્વર મહાદેવ મંદિરે વિશેષ અભિષેક, હવન અને મહાપ્રસાદ યોજાયો

Gujarat5/16/2026, 5:59:37 AM
જામનગરમાં શનિ જયંતી: મંદિરોમાં ભક્તોની ભીડ:ઇચ્છેશ્વર મહાદેવ મંદિરે વિશેષ અભિષેક, હવન અને મહાપ્રસાદ યોજાયો
જામનગર શહેરમાં વૈશાખી અમાસ અને શનિવારના વિશેષ સંયોગ પર શનિ જયંતિની ઉજવણી કરવામાં આવી. શનિદેવના દર્શન અને પૂજા માટે વહેલી સવારથી જ શહેરના વિવિધ શનિ મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા હતા. શનિ જયંતિ નિમિત્તે નાગેશ્વર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી શનિધામ ખાતે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી. શ્રદ્ધાળુઓએ શનિદેવની શિલા પર તેલ અને કાળા તલનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત, પવનચક્કી વિસ્તારમાં આવેલા શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર સંલગ્ન શનિદેવના સ્થાનકે પણ ભક્તોએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કર્યું. સાંજના સમયે વિવિધ મંદિરોમાં મહાઆરતી અને પ્રસાદ વિતરણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. શનિ જયંતિના અવસરે જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા શ્રી ઇચ્છેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. અહીં શનિદેવના વિશેષ પૂજન સાથે નીચે મુજબના કાર્યક્રમો યોજાયા: કાર્યક્રમોમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શનિદેવનો વિશેષ અભિષેક કરવામાં આવ્યો. વિશ્વ કલ્યાણ અર્થે શ્રી શનિદેવ યજ્ઞ (હવન)નું આયોજન કરાયું, જેમાં યજ્ઞની પૂર્ણાહુતિ સમયે પરંપરાગત રીતે બીડું હોમી આહુતિ અપાઈ. ધાર્મિક વિધિઓ બાદ ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો.
Read Original Article →