તકેદારી:હિટવેવને પગલે પશુઓને સવારે 11થી 4 સુધી છાયડા-હવા ઉજાસવાળા સ્થળે રાખવા જોઈએ
હાલના ઉનાળુ તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને ધ્યાને રાખીને જામનગર જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક દ્વારા પશુપાલકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં ગ્રીષ્મ લહેર એટલે કે હીટ વેવ દરમિયાન પશુઓના આરોગ્યનું રક્ષણ કરવા અને જરૂરી સાવધાનીના પગલાં લેવા જણાવાયું છે. ઉનાળાની આડઅસરો સામે પશુઓને રક્ષણ આપવા માટે પશુપાલકોએ કેટલાક પાયાના પગલાં ભરવા જરૂરી છે, જેમાં પશુઓને સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ફરજિયાત છાંયડા અને પૂરતા હવાઉજાસવાળા સ્થળે રાખવા જોઈએ. પશુઓને સામાન્ય કરતા બમણું અને પુષ્કળ પ્રમાણમાં તાજું તથા સ્વચ્છ પાણી પીવડાવવું જોઈએ તેમજ દિવસના ઠંડા સમયે જ ચરાવવા કે ખોરાક આપવો હિતાવહ છે. ખોરાકમાં લીલોચારો અને મિનરલ મિક્ચરનો ઉપયોગ વધારવો જોઈએ તથા પશુઓના રહેઠાણના શેડમાં વેન્ટિલેશન, ભીના કોથળા, પંખા કે ફોગિંગની વ્યવસ્થા કરવી જોઈએ. આ ઉપરાંત દિવસમાં ઓછામાં ઓછી એક વાર પશુઓને સ્નાન કરાવવું જોઈએ. જેથી તેમના શરીરનું તાપમાન જળવાઈ રહે. પશુઓમાં જોવા મળતી ગરમીની વિવિધ અસરો જેવી કે તડકાથી દાઝવું, સ્નાયુઓની ખેંચ, થાક કે હીટ સ્ટ્રોક જેવી સ્થિતિમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી ખૂબ જ જરૂરી છે. પશુની ત્વચા લાલ થાય કે સોજો આવે તો પાણીનો છંટકાવ કરી એન્ટીસેપ્ટીક ડ્રેસિંગ કરવું જોઈએ અને જો પશુ હાંફતું હોય કે તેના ધબકારા વધી ગયા હોય તો તેને તાત્કાલિક ઠંડા સ્થળે લઈ જઈ શરીર પર ઠંડુ પાણી નાખવું જોઈએ.
Read Original Article →