દીવના દગાચી ગામમાં યુકે નિવાસી વૃદ્ધનો મૃતદેહ મળ્યો:પુત્રએ હત્યાની આશંકા વ્યક્ત કરી, તપાસ શરૂ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના દગાચી ગામમાં યુકે નિવાસી 61 વર્ષીય બાબુ ભગવાન સોલંકીનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, તેમણે ફાંસી લગાવી આત્મહત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ તેમના પુત્રએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. બાબુ ભગવાન સોલંકી, જેઓ મૂળ દીવના દગાચીના મોટી ચાખડી વિસ્તારના વતની હતા અને યુકેમાં સ્થાયી થયા હતા, તેઓ લગભગ સાત દિવસ પહેલા તેમના ભાઈના પિતૃ તર્પણ કાર્ય માટે દીવ આવ્યા હતા. આજે સવારે તેમના ઘરથી આશરે 25 મીટર દૂર એક ખેતરમાં ચિકુના ઝાડ પરથી તેમનો મૃતદેહ ફાંસી લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતકની જાણ તેમના ભાઈ કાંતુ ભીખા સોલંકીએ પોલીસને કરી હતી. દીવ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો અને તેને દીવ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. લંડનમાં રહેતા મૃતકના પુત્ર વિરમ બાબુને આ ઘટનાની જાણ કરવામાં આવતા, તેમણે પિતાના અવસાન અંગે શંકા વ્યક્ત કરી હતી અને હત્યાની આશંકા દર્શાવી હતી. પુત્રની શંકા બાદ, મૃતદેહને વધુ તપાસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માટે જૂનાગઢ મેડિકલ કોલેજ રવાના કરવામાં આવ્યો છે.
Read Original Article →