વાયરસના પ્રકોપને ભૂલાવતું વિચરણ:તાલાલા-ઉના હાઇવે પર સાવજોની શાહી લટાર;બામણાસા-જામવાળા વચ્ચે પ્રવાસીઓએ ગીરના રાજાનું ભ્રમણ કેમેરામાં કેદ કર્યું
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા-ઉના સ્ટેટ હાઇવે નંબર 98 પર બામણાસાથી જામવાળા વચ્ચેના 10 કિલોમીટરના અંતરમાં તાજેતરમાં 6 સાવજોનું એક આખું જૂથ રોડ પર આવી પહોંચતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. આકોલવાડી અને જામવાળા રેન્જની સરહદેથી આવેલા આ વનરાજોને જોવા માટે માર્ગની બંને બાજુએ વાહનોની કતારો લાગી ગઈ હતી. સ્થાનિકો અને પ્રવાસીઓએ સફારી ટિકિટ વિના જ ગીરના આ અમૂલ્ય ઘરેણાં સમાન સિંહોને લટાર મારતા પ્રત્યક્ષ નિહાળી અદભુત રોમાંચ અનુભવ્યો હતો. હાઇવે પર સિંહોનું શાહી વિચરણ અને ટ્રાફિક જામ
જંગલ વિસ્તારમાંથી અચાનક 6 સિંહોનું ટોળું સિંગલ પટ્ટી હાઇવે પર આવી જતાં પસાર થતા વાહનચાલકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સુરક્ષાના ભાગરૂપે બંને તરફના વાહનો આપોઆપ ઉભા રહી ગયા હતા. સિંહોએ કોઈ પણ જાતના ભય વિના થોડીવાર સુધી હાઇવે પર જ ધામા નાખ્યા હતા, જેને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. વાહનચાલકોએ આ અદભુત ક્ષણોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી, જેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.
સફારી વગર પ્રવાસીઓને મળ્યું કુદરતી સિંહ દર્શન
છેલ્લા કેટલાક દિવસોથી આ ચોક્કસ હાઇવે પટ્ટી પર વનરાજોની અવરજવર નોંધપાત્ર રીતે વધી ગઈ છે. સામાન્ય રીતે સિંહોને જોવા માટે પ્રવાસીઓએ ગીર સફારીનું બુકિંગ કરાવવું પડતું હોય છે, પરંતુ અહીંથી પસાર થતા સામાન્ય મુસાફરો અને પ્રવાસીઓને નસીબજોગ રસ્તા પર જ વનરાજોના મુક્ત દર્શન થઈ ગયા હતા. હાઇવે પર થોડો સમય વિતાવ્યા બાદ આ સિંહોનું જૂથ કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વિના શાંતિથી રોડની બાજુમાંથી ફરી જંગલ તરફ રવાના થઈ ગયું હતું.
વાયરસના પ્રકોપ બાદ વન વિભાગ માટે રાહતના સમાચાર
આ દ્રશ્યો માત્ર પ્રવાસીઓ માટે જ નહીં, પરંતુ વન વિભાગ માટે પણ અત્યંત આશ્વાસન અને રાહત આપનારા છે. તાજેતરમાં જ ગીરના જામવાળા વિસ્તારમાં જીવલેણ વાયરસના સંક્રમણને કારણે 2 સાવજોના અકાળે મોત નીપજ્યા હતા, જેને લઈને સિંહપ્રેમીઓ અને વન તંત્ર ભારે ચિંતામાં હતું. તે જ અસરગ્રસ્ત વિસ્તારની બોર્ડર પર 6 સિંહોનું આખું જૂથ સંપૂર્ણ તંદુરસ્ત અવસ્થામાં મુક્તપણે વિહાર કરતું જોવા મળતાં વન વિભાગે પણ હાશકારો અનુભવ્યો છે. આ પણ વાંચો ગીરમાં 8 સાવજોના હરોળબદ્ધ કેટ વોકનો અદભૂત VIDEO:વાયરસના પ્રકોપ વચ્ચે તંદુરસ્ત, યુવાન સિંહો જોઈને પ્રવસીઓ આનંદમાં, સિંહ પ્રજાતિ પર વાયરસનું સંકટ ઘટ્યું
ગીર જંગલમાં આઠ યુવાન સાવજોનું હરોળબદ્ધ કેટ વોક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સિંહ પ્રજાતિ પર છવાયેલા બેબેસિયા વાયરસના સંકટના વાદળો હળવા થઈ રહ્યા છે, ત્યારે આવા તંદુરસ્ત સાવજોના દ્રશ્યો રાહત આપનારા છે. (સંપૂર્ણ અહેવાલ વાંચવા ક્લીક કરો)
Read Original Article →