ડભોર-2ના અંબાજી પાર્કમાં વીજ ધાંધિયા:કંટાળેલા રહીશો PGVCL કચેરીએ પહોંચ્યા; અવની ફીડર પર ઓવરલોડ જવાબદાર હોવાનું PGVCLએ સ્વીકાર્યું

Gujarat6/4/2026, 8:38:49 AM
ડભોર-2ના અંબાજી પાર્કમાં વીજ ધાંધિયા:કંટાળેલા રહીશો PGVCL કચેરીએ પહોંચ્યા; અવની ફીડર પર ઓવરલોડ જવાબદાર હોવાનું PGVCLએ સ્વીકાર્યું
વેરાવળ શહેરની ભાગોળે આવેલા ડભોર-2 વિસ્તારમાં આવેલી અંબાજી પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી સર્જાતી વીજ પુરવઠાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વારંવાર અને કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતો રહેતાં ત્રસ્ત રહેવાસીઓએ PGVCL કચેરીએ પહોંચી જવાબદાર અધિકારીઓ સમક્ષ આક્રોશભેર રજૂઆત કરી તાત્કાલિક ઉકેલ લાવવાની માગ કરી હતી. સ્થાનિક ગૃહિણી નંદુબેન ભમ્મરે જણાવ્યું હતું કે,છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં નિયમિત રીતે વીજ કાપની સમસ્યા સર્જાઈ રહી છે. એક પણ દિવસ એવો પસાર થતો નથી કે 24કલાક સતત વીજ પુરવઠો મળી રહે. રોજિંદા ત્રણથી ચાર કલાક સુધી વીજળી ખોરવાઈ જતી હોવાથી રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,હાલની કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે નાનાબાળકો,વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓ માટે પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે.વારંવાર વીજળી ગુલ થતાં ઘરગથ્થુ જીવન અસ્તવ્યસ્ત બની જાય છે. સમસ્યા અંગે PGVCLકચેરીનો સંપર્ક કરવામાં આવે ત્યારે મોટાભાગે ફોન લાગતો નથી અને ફોન લાગ્યા બાદ પણ સંતોષકારક જવાબ મળતો નથી. કેટલાક કર્મચારીઓ દ્વારા ઉડાઉ અને અસંતોષજનક જવાબ આપવામાં આવતાં લોકોમાં નારાજગી વધી રહી છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ ગઈકાલે તો આખો દિવસ વીજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો,જેના કારણે લોકો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. ત્રસ્ત નાગરિકોએ તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની માગ સાથે ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આ અંગે PGVCLના નાયબ ઈજનેર ડી.આર.પરમારે વીજ સમસ્યાનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, ડભોર વિસ્તારને વીજ પુરવઠો આપતા અવની ફીડર પર વધુ પડતા લોડના કારણે વારંવાર ટ્રીપિંગની સમસ્યા સર્જાઈ રહી છે. આ ફીડર સાથે ભાલપરા,તાતીવેલા, ડભોર અને ડભોર-1સહિત ચાર ગામો ઉપરાંત હાઇવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટોના વીજ જોડાણો પણ સંકળાયેલા હોવાથી ઓવરલોડની સ્થિતિ સર્જાઈ છે. નાયબ ઈજનેરે જણાવ્યું હતું કે,સમસ્યાના કાયમી નિરાકરણ માટે ફીડરનું લોડ વિતરણ (લોડ ડિસ્ટ્રિબ્યુશન) કરવા અંગે ઉચ્ચ કક્ષાએ દરખાસ્ત મોકલવામાં આવી છે અને જરૂરી વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આગામી એક અઠવાડિયામાં સમસ્યાનો નક્કર ઉકેલ લાવવા માટે વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. ડભોર-2 અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ હવે PGVCL દ્વારા આપવામાં આવેલી ખાતરી પર નજર રાખી રહ્યા છે અને વહેલી તકે સ્થિર વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.
Read Original Article →