ચોમાસા પૂર્વે વેરાવળ–પાટણમાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પુરજોશમાં:1600 મેટ્રિક ટન કચરાનો નિકાલ, 57 સંવેદનશીલ પોઈન્ટ પર વિશેષ સફાઈ; 85 ટકા કામગીરી પૂર્ણ

Gujarat6/3/2026, 12:12:57 PM
ચોમાસા પૂર્વે વેરાવળ–પાટણમાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પુરજોશમાં:1600 મેટ્રિક ટન કચરાનો નિકાલ, 57 સંવેદનશીલ પોઈન્ટ પર વિશેષ સફાઈ; 85 ટકા કામગીરી પૂર્ણ
આગામી ચોમાસાની ઋતુમાં શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉભી ન થાય અને નાગરિકોને હાલાકીનો સામનો કરવો ન પડે તે માટે વેરાવળ–પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વ્યાપક પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી આ ઝુંબેશને કારણે ગટર, બોક્સ ડ્રેન અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. 31 મે સુધીમાં 1600 મેટ્રિક ટન જેટલા ઘન કચરાનો નિકાલ નગરપાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણાએ જણાવ્યું હતું કે તા. 31 મે, 2026 સુધીમાં શહેરમાંથી અંદાજે 1600 મેટ્રિક ટન જેટલા ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. કામગીરીને ઝડપી અને અસરકારક બનાવવા માટે પાંચ જેસીબી મશીનો તેમજ 12 ટ્રેક્ટરો સતત કાર્યરત રાખવામાં આવ્યા છે. સેનીટેશન અને પૌડી શાખાના સંકલનથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાંચ વિશેષ ટીમો કાર્યરત છે, જેમાં 60થી વધુ કર્મચારીઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. 85 ટકા કામ પૂર્ણ, 10 જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નગરપાલિકાના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં પ્રિમોન્સૂન કામગીરીનું અંદાજે 85 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આગામી 10 જૂન સુધી સમગ્ર કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. શહેરના તમામ મહત્વના વિસ્તારોમાં ગટર લાઈનો, ડ્રેનેજ ચેમ્બર અને વરસાદી પાણીના નિકાલ માટેના માર્ગોની સફાઈને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. 57 મહત્વના પોઈન્ટો પર વિશેષ સફાઈ અભિયાન વેરાવળ–પાટણ શહેરના 11 વોર્ડ વિસ્તારમાં અંદાજે 16 કિલોમીટર લાંબી બોક્સ ગટર અને 4 કિલોમીટર સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ કાર્યરત છે. ચોમાસા દરમિયાન જ્યાં પાણી ભરાવાની સંભાવના વધુ રહે છે તેવા નાના-મોટા જંકશન સહિત 57 મહત્વના પોઈન્ટોની ઓળખ કરી ત્યાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં જમા થયેલો કાદવ, પ્લાસ્ટિક અને અન્ય ઘન કચરો દૂર કરીને પાણીના વહનને સરળ બનાવવામાં આવી રહ્યું છે. મુખ્ય ગટર લાઈનોમાં પ્લાસ્ટિક કે અન્ય ઘન કચરો ન નાખો : ચીફ ઓફિસર ચીફ ઓફિસરે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે મુખ્ય ગટર લાઈનોમાં પ્લાસ્ટિક કે અન્ય ઘન કચરો ન નાખવો જોઈએ. ઉપરાંત વરસાદ દરમિયાન કોઈપણ વિસ્તારમાં પાણી ભરાય તો ડ્રેનેજના ઢાંકણાં પોતાની રીતે ખોલવાનો પ્રયાસ ન કરવો જોઈએ, કારણ કે તેનાથી કચરો અંદર જવાથી આખી લાઈન ચોક થઈ શકે છે. નગરપાલિકાની આ સઘન કામગીરી અને નાગરિકોના સહયોગથી આગામી ચોમાસામાં શહેરને પાણી ભરાવાની સમસ્યાથી મોટા પ્રમાણમાં રાહત મળશે તેવી આશા તંત્રએ વ્યક્ત કરી છે.
Read Original Article →