વેરાવળ જલારામ મંદિરે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ:ત્રણ દિવસીય મહોત્સવમાં પૂજન, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન
વેરાવળમાં ભગવાનજી સુંદરજી નથવાણી વિદ્વાન આશ્રમની જગ્યામાં નવનિર્મિત જલારામ મંદિરમાં ત્રણ દિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ સોમવાર, તા. 11થી ગુરુવાર, તા. 14 સુધી ચાલશે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. જલારામ મંદિરના પુનઃનિર્માણની શરૂઆત નવનિર્માણ મંદિર સમિતિના ટ્રસ્ટીઓ ભદ્રેશભાઈ દાવડા, નીતેષભાઈ અમલાણી, નવીનભાઈ ભીંડોરા, નટવરલાલ છાટબાર, શૈલેષકુમાર ચંદારાણા, ડૉ. વિજયકુમાર ચોટાઈ, મહેશભાઈ આહ્યા, ગોરધનભાઈ નથવાણી અને અશોક ગદા સહિતના સભ્યો દ્વારા કરવામાં આવી હતી. વોટ્સએપ દ્વારા જાણ થતાં દાતાઓના આર્થિક યોગદાનથી આ ભવ્ય મંદિરનું નિર્માણ શક્ય બન્યું છે. મહોત્સવનો પ્રારંભ સોમવાર, તા. 11 ના રોજ બપોરે 4 કલાકે દેહ શુદ્ધિ સાથે થયો હતો. મંગળવાર, તા. 12 ના રોજ સવારે 9 કલાકે નૂતન મંદિરમાં શ્રી ગણપતિ પૂજન અને બપોરે 12થી 2:30 વાગ્યા સુધી યજ્ઞ યોજાશે. ત્યારબાદ બપોરે 3:30 કલાકે શાક માર્કેટ પાસેના જૂના મંદિરથી શ્રી જલારામ જ્યોત અને જલારામ બાપાની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રા મોટી શાકમાર્કેટ, ગર્લ્સ હાઈસ્કૂલ રોડ, લાયબ્રેરી, ટાવર ચોક થઈ લોહાણા બોર્ડિંગ, જન સમાજ સેવા પાસે આવેલા નૂતન મંદિરે પહોંચશે. સમસ્ત જ્ઞાતિજનોને બપોર પછી કામ-ધંધા બંધ રાખી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે. બુધવાર, તા. 13ના રોજ સવારે 9 કલાકે શ્રી ગણપતિ પૂજન અને સ્થાપિત દેવતા પૂજન થશે. સવારે 11 કલાકે જલાયાત્રા, જલાધિવાસ, ધાન્યાધિવાસ, અધિવાસન વગેરે વિધિઓ યોજાશે. સાંજે શયન પૂજન અને મહાઆરતી કરવામાં આવશે. ગુરુવાર, તા. 14 ના રોજ સવારે 9 કલાકે ગણપતિ પૂજન અને સ્થાપિત દેવતા પૂજન બાદ બપોરે 12:30 થી 2:30 વાગ્યા સુધી મૂર્તિ સ્થાપના, શિખર પ્રતિષ્ઠા, પ્રાસાદ અભિષેક, ધ્વજારોહણ, પ્રતિષ્ઠા હોમ, સ્થાપિત દેવતા હોમ અને પૂર્ણાહુતિ થશે. સાંજે નૂતન મંદિરમાં જલારામ બાપાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ તમામ ધાર્મિક કાર્યો આચાર્ય નાનુભાઈ પ્રચ્છક (પ્રભાસ પાટણ) અને કલાપીભાઈ પ્રચ્છક સહિતના ભૂદેવો દ્વારા સંપન્ન કરાશે. ગુરુવાર, તા. 14 ના રોજ સાંજે લોહાણા બોર્ડિંગ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોહાણા સમુહ જ્ઞાતિ અને અન્ય આમંત્રિત મહેમાનો જોડાશે. આ સમુહ ભોજન દાતાઓના દાનમાંથી થવાનું હોવાથી કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવશે નહીં. મહાપ્રસાદના આયોજન માટે મંગળવાર, તા. 12 ના રોજ રાત્રે 10 કલાકે જનરલ મીટિંગ રાખવામાં આવી છે, જેમાં જ્ઞાતિજનો અને કાર્યકરોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
Read Original Article →