વેરાવળ જિલ્લા પંચાયત ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેજ:AAP એ 4 બેઠકો પર ઉમેદવારી રજૂ કરી, ભાજપ-કોંગ્રેસે હજુ સુધી એક પણ ઉમેદવારી પત્ર રજૂ નથી કર્યું

Gujarat4/9/2026, 2:24:18 PM
વેરાવળ જિલ્લા પંચાયત ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેજ:AAP એ 4 બેઠકો પર ઉમેદવારી રજૂ કરી, ભાજપ-કોંગ્રેસે હજુ સુધી એક પણ ઉમેદવારી પત્ર રજૂ નથી કર્યું
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં જિલ્લા પંચાયત ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાના ચોથા દિવસે આમ આદમી પાર્ટી (AAP) એ પાંચમાંથી ચાર બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારીને ચૂંટણી જંગમાં પહેલો દાવ ખેલ્યો છે. જોકે, ભાજપ અને કોંગ્રેસે હજુ સુધી એક પણ ઉમેદવારી પત્ર રજૂ કર્યું નથી. AAP દ્વારા વેરાવળ તાલુકાની જિલ્લા પંચાયતની ભાલપરા (બેઠક નં. 5), ડારી (બેઠક નં. 7), ગોવિંદપરા (બેઠક નં. 15) અને નાવદ્રા (બેઠક નં. 21) બેઠકો પર ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે. ભાલપરા બેઠક પરથી કિશનભાઈ હાજાભાઈ ચાંડપા, ડારી બેઠક પરથી એજાજ એહમદ દરજાદા, ગોવિંદપરા બેઠક પરથી રામભાઈ જીણાભાઈ બામણીયા અને નાવદ્રા બેઠક પરથી ગીતાબેન રમેશભાઈ પાતળએ સત્તાવાર રીતે દાવેદારી નોંધાવી છે. આમ આદમી પાર્ટીના આ પગલાને સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ટક્કર રહેતી આ બેઠકો પર આ વખતે ત્રીજો વિકલ્પ મજબૂતીથી ઉભો થતો દેખાઈ રહ્યો છે, જેના કારણે ચૂંટણીમાં ત્રિકોણીય જંગની સંભાવનાઓ પ્રબળ બની છે. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ચાલી રહી હોવા છતાં, ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી એક પણ ઉમેદવારી પત્ર રજૂ ન થતા રાજકીય વર્તુળોમાં અનેક અટકળો વહેતી થઈ છે. ઉમેદવારોની પસંદગી, આંતરિક ગોઠવણો કે વ્યૂહાત્મક વિલંબ પાછળનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ મુખ્ય પક્ષોની આ શાંતિ ચર્ચાનો વિષય બની છે. સ્થાનિક મતદારોમાં પણ ઉત્સુકતા વધી રહી છે કે ભાજપ અને કોંગ્રેસ કયા ચહેરાઓને મેદાનમાં ઉતારશે અને તેઓ AAP ના ઉમેદવારો સામે કેવી રણનીતિ અપનાવશે. આવનારા દિવસોમાં ઉમેદવારી પત્રોની અંતિમ તારીખ નજીક આવતા રાજકીય ગરમાવો વધુ તેજ બનશે તે નિશ્ચિત છે.
Read Original Article →