વેરાવળમાં ભાજપ સ્થાપના દિનની ઉજવણી:ઘરેઘરે ધ્વજ ફરક્યા, મહા જનસંપર્ક અભિયાન પણ યોજાયું
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે વેરાવળ શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન શહેરમાં કેસરિયો માહોલ જોવા મળ્યો હતો. શહેર સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ઉપરાંત કાર્યકરોએ પોતાના ઘરો પર પણ પાર્ટીનો ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રકારે સ્થાપના દિનની ઉજવણીને યાદગાર બનાવવામાં આવી હતી, જેનાથી અનેક વિસ્તારોમાં પક્ષ પ્રત્યેની લાગણીનો માહોલ સર્જાયો હતો. સાંજે વેરાવળ ખાતે જિલ્લા કાર્યાલયમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ અગ્રણી દીપક વઘાસિયાએ ભાજપના સ્થાપનાથી લઈને આજ સુધીની વિકાસયાત્રા અંગે વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. તેમણે પાર્ટીના સિદ્ધાંતો, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસકાર્યો તેમજ સંગઠનની શક્તિ વિશે કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા, શહેર અને તાલુકા મંડળના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે જિલ્લા કાર્યાલયને ધ્વજો, બેનરો અને લાઈટિંગ દ્વારા વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું, જેના કારણે ઉત્સવનો માહોલ સર્જાયો હતો. આ ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા "મહા જનસંપર્ક અભિયાન" પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ કાર્યકરો જુદા જુદા વિસ્તારોમાં ઘરેઘરે જઈને ભાજપની વિકાસગાથા રજૂ કરતી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. આ અભિયાનને જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના સ્થાપના દિનની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી, જેમાં કાર્યકરોમાં પક્ષ પ્રત્યેનો જુસ્સો સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
Read Original Article →