વેરાવળ પોલીસે ₹27.39 લાખનો મુદામાલ પરત કર્યો:તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ SP જાડેજાની અધ્યક્ષતામાં કાર્યક્રમ
રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચોરી થયેલ, ગુમ થયેલ તેમજ સાયબર ઠગાઈમાં ગયેલ કુલ ₹27,39,724 કિંમતનો મુદામાલ 121 અરજદારોને પરત સોંપવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. પરત કરાયેલા મુદામાલમાં વિવિધ કેટેગરીનો સમાવેશ થાય છે. જેમાં આશરે 54.9 ગ્રામ વજનના સોનાના દાગીના (કિંમત ₹5,75,000), બે અલગ અરજીઓ અંતર્ગત કુલ ₹5,85,000 રોકડ રકમ, અને 29 અરજદારોને સાયબર ફ્રોડ દ્વારા ગુમાવેલા કુલ ₹4,08,585 પરત મળ્યા હતા. આ ઉપરાંત, 50 મોબાઇલ હેન્ડસેટ (કુલ કિંમત ₹8,05,138), 4 ગુમ થયેલ બાઇકો (કુલ કિંમત ₹1,55,000) અને વિદ્યાર્થીઓના એડમિશન સંબંધિત 35 મહત્વના અસલ દસ્તાવેજો પણ તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત કોડીનાર પોલીસ સ્ટેશન દ્વારા પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી, જેમાં અંદાજે ₹8 લાખનો મુદામાલ સંબંધિત અરજદારોને પરત સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ગુમ થયેલ કિંમતી વસ્તુઓ પરત મળતાં નાગરિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. આ અભિયાનથી પોલીસ પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને પોલીસની "સેવાભાવ"ની ભાવના પ્રગટ થઈ છે. આ પ્રસંગે પોલીસ અધિકારીઓએ નાગરિકોને ખાસ કરીને સાયબર ક્રાઇમ અંગે સાવચેત રહેવા અપીલ કરી હતી. તેમણે અજાણ્યા કોલ, લિંક્સ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વખતે સાવચેતી રાખવા અને કોઈ પણ અનિચ્છનીય ઘટનામાં તરત પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. "તેરા તુજકો અર્પણ" અભિયાન માત્ર એક સરકારી પહેલ નથી, પરંતુ નાગરિકોને ન્યાય અને વિશ્વાસ પરત આપતી એક માનવિય પહેલ તરીકે ઉભરી આવ્યું છે. વેરાવળ પોલીસની આ કામગીરી અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.
Read Original Article →