સોમનાથ ટ્રસ્ટ ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા ઉજવશે:ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું આયોજન કરાયું
આજે ગંગા દશેરાના પવિત્ર પર્વ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ ક્ષેત્રના ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ભક્તિમય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે ગંગા અવતરણ પૂજા અને મહાઆરતીનું આયોજન કરાયું છે. ગંગા લહેરી સ્તોત્રના પઠન સાથે શિવજીની જટા પર ગંગાજલ અભિષેક પણ કરાશે. શાસ્ત્રો અનુસાર, ગંગા દશેરાના દિવસે માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું. આ દિવસે ગંગામાતાના દર્શન, પૂજા અને આરતીનું વિશેષ મહાત્મ્ય છે. ભારતીય સંસ્કૃતિમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવે છે. પ્રભાસ ક્ષેત્રમાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓ સમુદ્ર સાથે સંગમ પામે છે, જેને પરમ પવિત્ર ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ અહીં પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હોવાનો ઉલ્લેખ છે. આજે ત્રિવેણી સંગમ ખાતે ગંગા અવતરણ પૂજા બાદ મહાઆરતી કરવામાં આવશે, ત્યારબાદ તમામ ભક્તોને પ્રસાદ વિતરણ કરાશે. ટ્રસ્ટ દ્વારા ભક્તોને આરતી માટે પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ ન કરવા અને પોતાની સાથે આરતીની થાળી તથા દીપ લાવવા વિનંતી કરવામાં આવી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને ગંગા દશેરાના આ પાવન આયોજનમાં જોડાવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ત્રિવેણી સંગમ ખાતે સાંજે દીપ મહાઆરતી દ્વારા માત ત્રિવેણીની આરતી ઉતારવામાં આવે છે, જેમાં દેશ-વિદેશથી આવતા યાત્રીઓ તેમજ રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ પણ લાભ લે છે.
Read Original Article →