ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમવાર ભવ્ય ‘શ્રી હનુમંત કથા’નું આયોજન:KCC ગ્રાઉન્ડ ખાતે 11થી 15 જૂન સુધી આધ્યાત્મિક જ્ઞાનગંગા વહેશે, ભારત વિકાસ પરિષદ-સોમનાથ શાખાની પહેલ
ગીરસોમનાથ જિલ્લામાં પ્રથમ વખત હનુમાનજી મહારાજના જીવનચરિત્ર અને ભક્તિ પર આધારિત ભવ્ય ‘શ્રી હનુમંત કથા’નુંઆયોજન ભારત વિકાસ પરિષદ-સોમનાથ શાખા દ્વારા કરવામાં આવ્યું છે. આગામી તા.11થી 15જૂન, 2026 દરમિયાન વેરાવળના ક્રાંતિવીર સરદારસિંહ રાણા ગ્રાઉન્ડ(KCC), રાજેન્દ્ર ભુવન રોડ ખાતે આ દિવ્ય અને ભવ્ય કથા યોજાશે.કથાના આયોજન પૂર્વે આજરોજ કથાસ્થળે વૈદિકમંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન વિધિ યોજાઈ હતી. ભૂમિપૂજન કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના આગેવાનો,કાર્યકરો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભુમિપૂજનમાં સંજયભાઈ કારિયા, ડો.જયેશ વઘાસિયા સહિતના આગેવાનો પૂજન વિધિમાં જોડાયા હતા. કથાના આયોજન અંગે માહિતી આપતા ભારત વિકાસ પરિષદ-સોમનાથ શાખાના સચિવ વિજય માંડલિયાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે પુરષોત્તમ માસમાં ભાગવત,રામકથા અથવા અન્ય ધાર્મિક કથાઓનું આયોજન થતું હોય છે,પરંતુ હનુમાનજી મહારાજના જીવનચરિત્ર પર આધારિત કથાઓ ગુજરાતમાં પણ બહુ ઓછી યોજાય છે. તેથી એક નવા અભિગમ સાથે આ વિષયની પસંદગી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કેહનુમાનજીનું વ્યક્તિત્વ બળ,બુદ્ધિ,ભક્તિ,શૌર્ય અને સમર્પણનું પ્રતિક છે. યુવાપેઢી સહિત સમાજના દરેક વર્ગને પ્રેરણા મળે અને જીવનમૂલ્યોનો સંદેશ પ્રાપ્ત થાય તેવા હેતુથી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.કથામાં કળિયુગના જાગૃતદેવ તરીકે પૂજાતા હનુમાનજીના દિવ્ય અને અપ્રચલિત પ્રસંગો રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે પ્રખર વક્તા ડો.મહાદેવપ્રસાદ મહેતા વ્યાસપીઠ પરથી કથામૃતનું રસપાન કરાવશે.તેઓ હનુમાનજીના ચરિત્ર સાથે જીવન વ્યવસ્થાપન,મૂલ્યનિષ્ઠ જીવન અને આધ્યાત્મિક વિકાસના મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડશે. આયોજકોના જણાવ્યા અનુસાર કથાસ્થળે અંદાજે ચારથી પાંચ હજાર શ્રોતાઓ એકસાથે બેસીને કથાનું શ્રવણ કરી શકે તેવી વિશાળ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે.લોકો દિવસ દરમિયાન પોતાના વ્યવસાય અને રોજિંદા કાર્યોમાં વ્યસ્ત રહેતા હોવાથી કથાનો સમય દરરોજ રાત્રે 9 થી 12વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે,જેથી દરેક વર્ગના લોકો સરળતાથી કથાનો લાભ લઈ શકે. કથા દરમિયાન વેરાવળ-સોમનાથ વિસ્તારમાં વસતા હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિઓના આગેવાનો અને પ્રમુખોને દરરોજ આરતીમાં સજોડે જોડાવા માટે આમંત્રિત કરવામાં આવશે. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, પારિવારિક ભાવના અને સાંસ્કૃતિક સમરસતાને મજબૂત બનાવવાનો છે. ઉપરાંત,એક દિવસ નાશિકના પ્રખ્યાત ઢોલવૃંદ સાથે વિશેષ મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવે તેવી શક્યતા છે. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ધ્યેય સાથે કાર્યરત ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત આ હનુમંત કથા ગીર સોમનાથ જિલ્લાના ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસમાં એક યાદગાર પ્રસંગ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ધર્મપ્રેમી જનતાને સપરિવાર ઉપસ્થિત રહી કથાશ્રવણનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Read Original Article →