કેન્દ્રીય મંત્રી ભગીરથ ચૌધરીની ઉપસ્થિતિમાં ખેડૂત સભા:ગીર સોમનાથમાં 'ખેત બચાઓ અભિયાન' અંતર્ગત ખેડૂતોને માર્ગદર્શન
ગીર સોમનાથ જિલ્લાના ચાંડૂવાવ ગામમાં આહિર સમાજ વાડી ખાતે કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરીની ઉપસ્થિતિમાં એક ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ખેત બચાઓ અભિયાન' અંતર્ગત આ સભા યોજાઈ હતી, જે ૩૦ જૂન સુધી જિલ્લાના વિવિધ ગામોમાં ચાલશે. આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. યુરિયા અને ડી.એ.પી. જેવા રાસાયણિક ખાતરોને બદલે એસ.એસ.પી. અને અન્ય વૈકલ્પિક ખાતરો, નેનો યુરિયા, નેનો ડીએપી, તેમજ બાયો ફર્ટિલાઇઝરના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી ભગીરથ ચૌધરીએ કાર્યક્રમ સ્થળે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો. આ અભિયાન થકી ફાર્મર રજિસ્ટ્રી, પી.એમ. કિસાન યોજના અને અન્ય સંબંધિત વિષયો પર ખેડૂતો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ સ્થળે પ્રાકૃતિક ખેત પેદાશો દર્શાવતું 'અમૃત આહાર કેન્દ્ર' સ્થાપિત કરાયું હતું. જી.એસ.એફ.સી. કંપનીના પ્રતિનિધિઓ દ્વારા નવા યુગના ખાતરોના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જીવામૃત અને ઘન જીવામૃતનો જીવંત નિદર્શન પણ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, અગ્રણી રાજશીભાઈ જોટવા, વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ, તાલુકા પંચાયત સદસ્ય-સુપાસી, ચાંડૂવાવના સરપંચ, કે.વી.કે.ના વૈજ્ઞાનિકો, મગફળી સંશોધન કેન્દ્રના ડાયરેક્ટર, સી.આઈ.એફ.ટી.-સી.એમ.એફ.આર.આઈ.ના પ્રતિનિધિઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા અને કૃષિ વિભાગની ટીમના સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →