ઉમરેઠમાં પાટીદાર કિંગમેકર, ‘બોસ્કી’ ક્યારે પત્તા ખોલશે?:પેટાચૂંટણી ત્રિપાખિયો જંગ જામશે, CM ભૂપેન્દ્ર પટેલ ભાષણમાં ‘ગોવિંદભાઈ’ 3 વાર, હર્ષદ માત્ર 1 વાર જ બોલ્યા
ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી હવે રાજકીય રીતે અત્યંત રસપ્રદ અને બહુસ્તરીય બની ગઈ છે. ક્ષત્રિય અને પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર આ વખતે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે, પરંતુ જયંત પટેલ ‘બોસ્કી’ની એન્ટ્રીથી ત્રીજું ફેક્ટર પણ ઊભું થઈ શકે છે. અંદાજે 2.74 લાખ મતદારો ધરાવતી ઉમરેઠ બેઠકમાં ક્ષત્રિય મતદારો 40થી 45 ટકા છે, જ્યારે પાટીદાર મતદારો 20થી 22 ટકા છે, જેના કારણે આ બંને સમુદાયોનું ગઠબંધન જીત માટે સૌથી મહત્વપૂર્ણ બની રહે છે. ઉમરેઠ પેટાચૂંટણીમાં ક્ષત્રિય-ક્ષત્રિય સામસામે છે ત્યારે પાટીદાર કિંગમેકર તરીકે છે. CMના સંબોધનમાં ‘ગોવિંદભાઈ’ 3 વાર, હર્ષદ માત્ર 1 વાર
ઉમરેઠમાં સ્વ. ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદની ઉમેદવારી નોંધાવ્યા બાદ ભાજપ શક્તિપ્રદર્શન સભા યોજાઈ હતી. 2026 ઉમરેઠ પેટા ચૂંટણીમાં ભાજપે સ્વ. ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદને ઉમેદવાર બનાવી સહાનુભૂતિ અને ‘વારસદાર’ કાર્ડ રમ્યું છે. આ રણનીતિનો સંકેત મુખ્યમંત્રીના ભાષણમાં પણ જોવા મળ્યો, જ્યાં 5 મિનિટ 21 સેકન્ડના સંબોધનમાં ગોવિંદભાઈનું નામ ત્રણ વખત લેવામાં આવ્યું અને તેના કાર્યોને યાદ કરીને મતદારો સાથે ભાવનાત્મક જોડાણ બનાવવાનો પ્રયાસ થયો. તેની સામે હર્ષદ પરમારનું નામ માત્ર એક જ વખત લેવાયું અને તે પણ સ્ટેજ પર હાજર મહાનુભાવોનું સ્વાગત કરતી વખતે. તેના પરથી રાજકીય ચર્ચા થઈ રહી છે કે, ભાજપ ‘ગોવિંદભાઈની છબી’ને કેન્દ્રમાં રાખીને પ્રચાર કરી રહી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની લીડ ઘટી
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ગોવિંદભાઈ પરમારે 26,717 મતોથી જીત મેળવી હતી અને 283માંથી 215 બુથમાં લીડ મેળવી હતી. જોકે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની લીડ ઘટીને અંદાજે 13થી 15 હજાર મત રહી છે. કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા
બીજી તરફ કોંગ્રેસે અનુભવી અને સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવતા ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ તાલુકા પંચાયતના ત્રણ વખત પ્રમુખ રહી ચૂક્યા છે અને સહકારી ક્ષેત્રમાં તેમની સારી ઓળખ છે. કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રભુત્વ વધારવા, ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ફોકસ કરી રહી છે અને ખાસ કરીને ક્ષત્રિય તથા મુસ્લિમ મતોને એકતરફી કરવાનો પ્રયાસ કરી રહી છે. ‘બોસ્કી’ની ચૂંટણી લડવાની જાહેરાતથી ત્રિપાખિયો જંગ થઈ શકે
ચૂંટણીમાં વધુ એક મહત્વનો ટ્વિસ્ટ જયંત પટેલ ‘બોસ્કી’ના રૂપમાં સામે આવ્યો છે. બોસ્કીએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, પરંતુ તેઓ કયા પક્ષમાંથી લડશે તે હજી સ્પષ્ટ નથી. 2022માં કોંગ્રેસ-NCP ગઠબંધનના ઉમેદવાર તરીકે મજબૂત પ્રદર્શન કરનાર બોસ્કીનો ભાલેજ, ઓડ અને ગ્રામ્ય વિસ્તારોમાં સારો પ્રભાવ છે. જો તેઓ સ્વતંત્ર અથવા અન્ય પક્ષમાંથી મેદાનમાં ઉતરે છે તો ખાસ કરીને કોંગ્રેસના મતોમાં વિભાજન થવાની પૂરી શક્યતા છે, જે ભાજપને પરોક્ષ રીતે ફાયદો પહોંચાડી શકે છે. AAP ઉમેદવાર ઉતારે તો તે પણ મતોમાં થોડો પ્રભાવ પાડી શકે
આમ આદમી પાર્ટી માટે ઉમરેઠ બેઠક હજુ પડકારજનક છે. 2022માં પાર્ટીને માત્ર 2.12 ટકા મત મળ્યા હતા, છતાં પાર્ટી શહેરી અને યુવા મતદારોમાં પોતાની હાજરી વધારવાનો પ્રયાસ કરી રહી છે. જો AAP ઉમેદવાર ઉતારે છે તો તે પણ મતોમાં થોડો પ્રભાવ પાડી શકે છે, પરંતુ મુખ્ય લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે. બંને મુખ્ય પક્ષોએ ક્ષત્રિય ઉમેદવાર ઉતારતા પાટીદાર ‘કિંગમેકર’
આ સમગ્ર પરિસ્થિતિમાં હવે ચૂંટણીનું સૌથી મોટું ગેમચેન્જર પાટીદાર મતદારો બની ગયા છે. બંને મુખ્ય પક્ષોએ ક્ષત્રિય ઉમેદવાર ઉતારતા પાટીદાર મત હવે ‘કિંગમેકર’ બની ગયા છે. જો પાટીદાર મત ભાજપ સાથે મજબૂત રીતે રહે તો ભાજપ પોતાની લીડ જાળવી રાખી શકે છે, પરંતુ તેમાં તિરાડ પડે અને સાથે બોસ્કી ફેક્ટરથી મતવિભાજન થાય તો કોંગ્રેસ માટે જીતનો રસ્તો ખુલ્લો થઈ શકે છે. બોસ્કી ફેક્ટર પેટાચૂંટણીને રસપ્રદ બનાવી શકે
આમ, ઉમરેઠ પેટાચૂંટણી હવે માત્ર મતદાનની લડાઈ નથી રહી, પરંતુ સામાજિક સમીકરણ, સહાનુભૂતિ, સ્થાનિક નેતૃત્વ અને ગ્રાઉન્ડ સ્તરની રણનીતિનો કઠિન ટેસ્ટ બની ગઈ છે. ભાજપ ‘વારસદાર કાર્ડ’ અને સંગઠન પર ભરોસો રાખી રહી છે, કોંગ્રેસ લોકલ ચહેરા અને મુદ્દા આધારિત અભિયાનથી ટક્કર આપી રહી છે, જ્યારે બોસ્કી ફેક્ટર આ જંગને વધુ અનિશ્ચિત અને રસપ્રદ બનાવી રહ્યો છે. આ પણ વાંચો પૂર્વ MLAના પુત્ર હર્ષદ પરમારે મુખ્યમંત્રીની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ ઉમરેઠ વિધાનસભાની આગામી પેટાચૂંટણી 2026ને લઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષદ પરમારે આજે 4 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે આયોજિત જનસભા અને રોડ-શોમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતા શક્તિ પ્રદર્શન જેવો માહોલ સર્જાયો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →