સુરતના ‘ભૂતિયા ડિમોલિશન’ કેસમાં MLA વિનુ મોરડિયાનો ધડાકો:“અધિકારીઓ 100% શંકાના દાયરામાં, કંઈક છુપાવી રહ્યા છે”
સુરતના ચર્ચાસ્પદ ‘ભૂતિયા ડિમોલિશન’ મામલે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ મનપાના અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉઠાવતા મોટો ધડાકો કર્યો છે. મોરડિયાએ કહ્યું કે અત્યાર સુધી મીડિયા અને સોશિયલ મીડિયામાં સામે આવેલા દ્રશ્યો સ્પષ્ટપણે શંકા ઊભી કરે છે અને અધિકારીઓની ભૂમિકાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. મોરડિયાએ જણાવ્યું કે તેમણે આ મુદ્દે સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આખરે ડિમોલિશનની કાર્યવાહી કઈ જગ્યાએ અને કોના આદેશથી કરવામાં આવી હતી. જોકે મનપાના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા જવાબો વિશ્વસનીય લાગતા નથી. અધિકારીઓ કંઈક છુપાવતા હોય તેવું લાગી રહ્યું છે- મોરડિયા
તેમણે દાવો કર્યો કે કેટલાક અધિકારીઓએ પોતાની હાજરી ન હોવાનો દાવો કર્યો હતો, પરંતુ મીડિયા અને સોશિયલ મીડિયામાં સામે આવેલા દ્રશ્યોમાં તે જ અધિકારીઓ સ્થળ પર હાજર હોવાનું દેખાઈ રહ્યું છે. “અધિકારીઓ કંઈક છુપાવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે અને આ દ્રશ્યો શંકાને વધુ મજબૂત બનાવે છે,” એમ મોરડિયાએ જણાવ્યું. 'અધિકારી લાલચમાં આવી ગેરરીતિમાં સંડોવાયા હોય શકે'
ધારાસભ્યએ વધુમાં કહ્યું કે કોઈપણ બિલ્ડર અથવા વ્યક્તિના દબાણથી કોર્પોરેશન ડિમોલિશન જેવી કાર્યવાહી કરે તે માનવું મુશ્કેલ છે. શક્ય છે કે કેટલાક અધિકારીઓ કોઈ લાલચમાં આવીને ગેરરીતિમાં સંડોવાયા હોય. જોકે સમગ્ર હકીકત તપાસ બાદ જ બહાર આવશે. 'જે કોઈ દોષિત હશે તેની સામે સરકાર કાર્યવાહી કરશે'
મોરડિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “જે અધિકારીઓએ આ કાર્યવાહી કરી છે તેઓ 100 ટકા શંકાના દાયરામાં છે. તપાસમાં જે કોઈ દોષિત સાબિત થશે તેની સામે સરકાર કડક કાર્યવાહી કરશે.”
Read Original Article →