કલોલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:માતા સાથેના પ્રેમ સંબંધની અદાવતમાં આધેડની ઘાતકી હત્યા કરનાર બે સગા ભાઈઓને આજીવન કેદ

Gujarat6/5/2026, 1:25:00 PM
કલોલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:માતા સાથેના પ્રેમ સંબંધની અદાવતમાં આધેડની ઘાતકી હત્યા કરનાર બે સગા ભાઈઓને આજીવન કેદ
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોખાસણ ગામે માતા સાથેના પ્રેમ સંબંધની અદાવતમાં એક આધેડની ઘાતકી હત્યા કરવાના ગુનામાં અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કલોલના ચોથા એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપુતે આ ગંભીર કેસમાં બે સગા ભાઈઓને તકસીરવાન ઠરાવીને આજીવન કેદની સજા અને બંનેને 50-50 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીઓની ક્રૂર માનસિકતા પર કડક ટીકાત્મક અવલોકન કરી સમાજમાં દાખલો બેસે તેવો આદેશ આપ્યો છે. આ ચકચારી કેસની વિગત અનુસાર, ગત તા. 26 જાન્યુઆરી, 2025ના રોજ કલોલના મોખાસણ ગામે મહેન્દ્રસિંહ બબાજી ઠાકોરના નવા બની રહેલા મકાન ખાતે રતનજી છનાજી ઠાકોર નામના આધેડ કડિયાકામ કરી રહ્યા હતા. રતનજી ઠાકોરને આરોપીઓની માતા સાથે અગાઉ પ્રેમ સંબંધ હતા, જે બાબતની અદાવત મનમાં રાખીને સંજય ઉર્ફે મંગો અમરાજી ઠાકોર અને જયેશ અમરાજી ઠાકોરે પૂર્વ આયોજિત કાવતરું રચીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો. કોર્ટે આરોપીઓની ભયાનક ક્રૂરતાને જોતાં તેઓ કોઈ પણ પ્રકારની દયાને પાત્ર નથી તેમ સ્પષ્ટપણે ઠરાવીને બંને હત્યારા ભાઈઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સળિયા અને છરી વડે હુમલો કરી આંતરડા બહાર કાઢી નાખ્યા હત્યાના ઇરાદે ઘટનાસ્થળે પહોંચેલા બંને હુમલાખોર ભાઈઓએ રતનજી ઠાકોર પર લોખંડના સળિયા અને છરી વડે તૂટી પડ્યા હતા. આરોપીઓએ રતનજીને માથાના ભાગે સળિયાના ઘાતકી ફટકા માર્યા હતા અને છરીના ઉપરાછાપરી ઘા ઝીંકીને તેમના આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. અત્યંત નિર્દયતાપૂર્વક કરાયેલા આ હુમલાના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રતનજીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ સમયે વચ્ચે પડેલા સાક્ષી જીકુજી પરમારને પણ આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસની સઘન તપાસ અને સરકારી વકીલની ધારદાર દલીલો આ ગુના અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ યુ.એસ. પટેલ અને તેમની ટીમે કાયદેસરની કાર્યવાહી કરીને ગણતરીના દિવસોમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ (APP) જીગ્નેશ એચ. જોશીએ ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, આરોપીઓએ પૂર્વ આયોજિત ઇરાદા સાથે અને અત્યંત ક્રૂરતાપૂર્વક આ હત્યાકાંડને અંજામ આપ્યો છે. કોઈ પણ વ્યક્તિ ગમે તેવા સંજોગોમાં કાયદો હાથમાં લઈ શકે નહીં. સમાજમાં ગુનાખોરી પર નિયંત્રણ રાખવા માટે કઠોર સજા થવી અનિવાર્ય છે. અદાલતે ગીતાનો શ્લોક ટાંકીને કર્યું કડક અવલોકન અદાલતે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ ચુકાદો આપતી વખતે ભગવદ્ ગીતાનો શ્લોક ટાંકીને સમાજની વર્તમાન સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે નોંધ્યું કે, "પરસ્ત્રી સાથે સંબંધ બાંધવો, બીજાનું ધન હરવું અને મિત્રોનો ત્યાગ કરવાથી વ્યક્તિનો સર્વનાશ થાય છે. સમાજમાં પરિપક્વ લોકો જ્યારે નૈતિકતા વિરૂદ્ધના કર્મો કરે છે ત્યારે આવી ઘૃણાસ્પદ ઘટનાઓ બને છે, જે આખી પેઢીનો વિનાશ નોંતરે છે. કોઈની સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે કોઈ પણ વ્યક્તિને મારક હથિયારથી રહેસી નાખવાનો અધિકાર કાયદાએ કોઈને આપ્યો નથી."
Read Original Article →