પુસ્તકો બાદ હવે શિક્ષકોની અછતનો મુદ્દો ગરમાયો:જ્ઞાન-ખેલ સહાયકોના ઓર્ડર રિન્યુ કરવા શિક્ષક સંઘની માંગ

Gujarat6/8/2026, 3:12:38 PM
પુસ્તકો બાદ હવે શિક્ષકોની અછતનો મુદ્દો ગરમાયો:જ્ઞાન-ખેલ સહાયકોના ઓર્ડર રિન્યુ કરવા શિક્ષક સંઘની માંગ
રાજ્ય સરકાર નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે પ્રવેશોત્સવની ઉજવણી કરી રહી છે, પરંતુ બીજી તરફ શિક્ષણ વ્યવસ્થાના પાયાના પ્રશ્નો યથાવત્ હોવાનું સામે આવ્યું છે. એક તરફ અનેક શાળાઓમાં પાઠ્યપુસ્તકોની અછતની ફરિયાદો ઉઠી રહી છે તો બીજી તરફ શિક્ષકોની ઘટનો મુદ્દો પણ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. શૈક્ષણિક સત્રના પ્રારંભે જ શિક્ષક અછતનો પ્રશ્ન ઉભો થતાં શિક્ષણ કાર્ય પ્રભાવિત થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત અધ્યક્ષ મિતેશ ભટ્ટે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને પત્ર લખી સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી ભરતી ન થાય ત્યાં સુધી જ્ઞાન સહાયકો અને ખેલ સહાયકોના ઓર્ડર તાત્કાલિક રિન્યુ કરવાની માંગ કરી છે. નિવૃત્તિ, બદલી અને અન્ય કારણોસર શિક્ષકોની જગ્યાઓ ખાલી શિક્ષક સંઘના જણાવ્યા અનુસાર રાજ્યની અનેક શાળાઓમાં નિવૃત્તિ, બદલી અને અન્ય કારણોસર શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. નવા સત્રની શરૂઆત થઈ ગઈ હોવા છતાં હજારો જગ્યાઓ પર કાયમી ભરતી થઈ નથી. જેના કારણે ખાસ કરીને ગ્રામ્ય, અંતરિયાળ અને સરહદી વિસ્તારોની શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થા વધુ મુશ્કેલીમાં મુકાઈ છે. જ્ઞાન સહાયકો અને ખેલ સહાયકોને છૂટા કરાયા હતા વેકેશન પહેલાં નિમણૂંક પૂર્ણ થયેલા જ્ઞાન સહાયકો અને ખેલ સહાયકોને છૂટા કરવામાં આવ્યા હતા, પરંતુ શાળાઓ શરૂ થઈ ગયા બાદ પણ તેમના ઓર્ડર રિન્યુ કરવામાં આવ્યા નથી. પરિણામે મોટી સંખ્યામાં સહાયકો અદ્ધરતાલ સ્થિતિમાં છે અને શાળાઓમાં શિક્ષક ઘટનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે. ઘણી જગ્યાએ પૂરતી નિમણૂકો થઈ શકતી નથી શિક્ષક સંઘે રજૂઆતમાં જણાવ્યું છે કે, જ્ઞાન સહાયક યોજનાથી શિક્ષક અછતના પ્રશ્નમાં અમુક અંશે રાહત મળી હતી, પરંતુ હાલના ઠરાવમાં રહેલી મર્યાદાઓને કારણે ઘણી જગ્યાએ પૂરતી નિમણૂકો થઈ શકતી નથી. તેથી સુધારેલા ઠરાવ અનુસાર નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની અને જ્ઞાન સહાયક તથા ખેલ સહાયક યોજનામાં જરૂરી ફેરફારો કરવાની પણ માંગ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ સામે એક સાથે પુસ્તકોની અછત અને શિક્ષકોની અછત જેવા બે પડકારો ઉભા થયા છે ત્યારે લાખો વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી માંગ શિક્ષક સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે.
Read Original Article →