લગ્ન પહેલાં ‘મેડિકલ કુંડળી’ જરૂરી:પ્રફુલ પાનસેરિયાએ કહ્યું- 2047 સુધી સિકલ સેલ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે રાજ્ય આગળ વધી રહ્યું છે
પરંપરાગત કુંડળીની જેમ હવે લગ્ન પહેલાં ‘મેડિકલ કુંડળી’ મેળવવાની જરૂરિયાત છે. સિકલ સેલ જેવી આનુવંશિક બીમારીને આવનારી પેઢીમાં અટકાવવા માટે યુવક-યુવતીએ પોતાના સિકલ સેલ સ્ટેટસની જાણકારી રાખવી જરૂરી છે. આ વાત આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગાંધીનગર ખાતે યોજાયેલા ‘સિકલ સેલ એનિમિયા – દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ’માં કરી હતી. સિકલ સેલ નાબૂદ કરવા ગુજરાત અગ્રેસર
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નેશનલ હેલ્થ મિશનના સંયુક્ત ઉપક્રમે સ્વર્ણિમ સંકુલ-2ના દ્વારકા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધી દેશને સિકલ સેલમુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. આરોગ્ય વિભાગના પ્રયાસોથી રાજ્ય પોલિયો મુક્ત બન્યું
તેમણે જણાવ્યું કે, વર્ષ 2006માં જ્યારે દેશમાં સિકલ સેલ અંગે જાગૃતિ મર્યાદિત હતી, ત્યારે ગુજરાતે વ્યાપક સ્ક્રીનિંગ અભિયાન ચલાવી સિકલ સેલ કેરિયર અને દર્દીઓનો ડેટાબેઝ તૈયાર કર્યો હતો. આજે તે કામગીરી સમગ્ર દેશ માટે માર્ગદર્શક બની છે. મંત્રીએ પોલિયો નાબૂદીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગુજરાતમાં વર્ષ 2007 બાદ પોલિયાનો એકપણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના સતત પ્રયાસોથી રાજ્ય પોલિયોમુક્ત બન્યું છે અને એ જ દિશામાં વર્ષ 2047 સુધી સિકલ સેલને પણ ભૂતકાળ બનાવવાનો સંકલ્પ છે. દરેક નાગરિકનું નિરોગી અને સુખી જીવન જરૂરી
દર્દીઓને સંબોધતા તેમણે જણાવ્યું કે, સિકલ સેલ જીવનથી હારી જવાનો રોગ નથી. યોગ્ય સારવાર, નિયમિત કાળજી અને સકારાત્મક અભિગમથી દર્દીઓ સંપૂર્ણ અને સ્વસ્થ જીવન જીવી શકે છે. વિકસિત ભારતના સપનાને સાકાર કરવા દરેક નાગરિકનું નિરોગી અને સુખી જીવન જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન સિકલ સેલથી પીડિત બાળકો દ્વારા રોગની પીડા દર્શાવતું ભાવનાત્મક ચિત્ર મંત્રીને ભેટ આપવામાં આવ્યું હતું. 5.5 લાખ સિકલ સેલ કેરિયર્સ અને 30 હજાર સક્રિય દર્દીઓ
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોએ જણાવ્યું કે, ગુજરાતમાં અંદાજે 5.5 લાખ સિકલ સેલ કેરિયર્સ અને 30 હજાર જેટલા સક્રિય દર્દીઓ છે. તેમણે કહ્યું કે રસીકરણથી નિયંત્રિત થતા રોગોની સરખામણીએ સિકલ સેલ જેવા જેનેટિક રોગોની નાબૂદી વધુ પડકારજનક છે. આ માટે પોપ્યુલેશન સ્ક્રીનિંગ, જેનેટિક કાઉન્સેલિંગ, વ્યાપક જનજાગૃતિ અને જનભાગીદારી સૌથી અસરકારક ઉપાય છે. કાર્યક્રમમાં ગ્રામ્ય આરોગ્ય કમિશનર અને નેશનલ હેલ્થ મિશનના ડિરેક્ટર ડો. રતનકવર ગઢવી ચારણ, ધન્વંતરી ટ્રસ્ટના સ્થાપક ડો. અતુલ દેસાઈ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →