યુવરાજસિંહે વધુ એક ભરતી કૌભાંડનો ધડાકો કર્યો:એક જ પરિવારના બે ભાઈ, પણ જાતિ અલગ!, મોટો ભાઈ OBC સર્ટિ. સાથે તલાટી તો નાનાએ ST સર્ટિ.થી AMCમાં સરકારી નોકરી મેળવી

Gujarat6/9/2026, 1:32:11 PM
યુવરાજસિંહે વધુ એક ભરતી કૌભાંડનો ધડાકો કર્યો:એક જ પરિવારના બે ભાઈ, પણ જાતિ અલગ!, મોટો ભાઈ OBC સર્ટિ. સાથે તલાટી તો નાનાએ ST સર્ટિ.થી AMCમાં સરકારી નોકરી મેળવી
ગુજરાતમાં સરકારી ભરતીઓમાં કૌભાંડોના આક્ષેપો વચ્ચે યુવરાજસિંહે વધુ એક ચોંકાવનારો ધડાકો કર્યો છે, જેમાં એક જ પરિવારના બે સગા ભાઈઓએ અલગ-અલગ જાતિના બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી નોકરીઓ મેળવી હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં મોટા ભાઈએ OBC સર્ટિફિકેટના આધારે મોરબીમાં તલાટી તરીકે અને નાના ભાઈએ ST(અનુસૂચિત જનજાતિ) સર્ટિફિકેટનો ઉપયોગ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ક્લાર્ક તરીકેની નોકરી મેળવી લીધી હતી. જેના કારણે ભરતી પ્રક્રિયા અને પ્રમાણપત્ર ચકાસણી વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાને લઈને યુવરાજસિંહ જાડેજાએ ભરતી પ્રક્રિયામાં થતી દસ્તાવેજ ચકાસણીની પદ્ધતિ તેમજ ચૂંટણી પંચની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોટો મોરબીમાં તલાટી તો નાનો AMCમાં ક્લાર્કની નોકરી કરે છે યુવરાજસિંહના જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લામાં તલાટી તરીકે ફરજ બજાવતા હરેશ સરસૈયાએ SEBC- OBC (અન્ય પછાત વર્ગ)નું પ્રમાણપત્ર રજૂ કરીને નોકરી મેળવી છે. બીજી તરફ તેમના નાના ભાઈ નવઘણ સરસૈયાએ ST(અનુસૂચિત જનજાતિ)નું પ્રમાણપત્ર રજૂ કરીને અમદાવાદ મહાનગરપાલિકામાં ક્લાર્ક તરીકે નોકરી મેળવી છે. 'તાલુકા પંચાયતની ચૂંટણીમાં STનું પ્રમાણપત્ર રજુ કર્યું હતું' યુવરાજસિંહે વધુમાં દાવો કર્યો છે કે, નવઘણ સરસૈયા અગાઉ વાંકાનેર તાલુકા પંચાયતની અરણી ટીંબા બેઠક પરથી વર્ષ 2021માં ચૂંટણી પણ લડ્યા હતા. તે સમયે તેમણે ST (અનુસૂચિત જનજાતિ)ના પ્રમાણપત્રના આધારે ઉમેદવારી નોંધાવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. એક જ વ્યક્તિ દ્વારા અલગ-અલગ સમયે અલગ જ્ઞાતિના દસ્તાવેજોનો ઉપયોગ કરાયો હોવાના આક્ષેપથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. 15 વીઘા જમીન અને ઘરમાં તલાટીનો પગાર, છતાં પરિવાર 'મનરેગા'માં મજૂર! દસ્તાવેજો અનુસાર, આ પરિવાર પાસે વસુંધરા ગામમાં આશરે 14થી 15 વીઘા (5.79 હેક્ટર) જેટલી કિંમતી ખેતીલાયક જમીન સંયુક્ત ખાતામાં છે. ઘરમાં એક ભાઈ 2015થી સરકારી નોકરીમાં હોવા છતાં, આ પરિવારે સરકારી તિજોરીમાંથી નાણાં તારવવા માટે વસુંધરા ગ્રામ પંચાયતમાં 'મનરેગા' (MGNREGA) યોજના હેઠળ વ્યક્તિગત જમીન પરના કામોના લાભો લેવા અરજીઓ કરી હતી. 'નાનો ભાઈ કઈ રીતે ST કેટેગરીમાં આવી ગયો?' જમીનના 7/12 અને 8-અના ઓફિશિયલ ઉતારા (ખાતા નં.: 48) તેમજ જન્મ અને શાળા છોડ્યાના પ્રમાણપત્રો (LC) દર્શાવે છે કે આખો પરિવાર મૂળ SEBC (OBC) કેટેગરીમાં આવે છે. તેમ છતાં નાનો ભાઈ કઈ રીતે ST કેટેગરીમાં આવી ગયો તે સામે યુવરાજસિંહે સવાલો કર્યા છે. ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી યુવરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સાચો આદિવાસી અને ગરીબ ખેડૂત આજે પોતાનો હક સાબિત કરવા કાગળોની ચકાસણીમાં અટવાઈ રહ્યો છે, જ્યારે સેટિંગબાજો સિસ્ટમની આંખમાં ધૂળ નાખી નોકરીઓ પચાવી રહ્યા છે. હાલ આ મામલે સંબંધિત વિભાગો અથવા આરોપી વ્યક્તિઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. જોકે યુવરાજસિંહના આક્ષેપો બાદ ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને પ્રમાણપત્ર ચકાસણીની વિશ્વસનીયતા અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. આ પણ વાંચો 'Re-NEET-2026ના પેપરના નામે કરોડોના ઉઘરાણા':યુવરાજસિંહે કહ્યું- ટેલિગ્રામ ચેનલથી 5.74 કરોડ પડાવ્યા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ Re-NEET 2026 પેપર લીકના નામે ચાલી રહેલા મોટા સાયબર કૌભાંડનો આરોપ લગાવી ચોંકાવનારા દાવા કર્યા છે. યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ટેલિગ્રામ પર કાર્યરત કેટલીક શંકાસ્પદ ચેનલો વિદ્યાર્થીઓ અને વાલીઓને 'Re-NEET 2026નું પેપર લીક થઈ ગયું છે' તેવી લાલચ આપી લાખો રૂપિયા પડાવી રહી છે. 7901 લોકો પાસેથી ₹5.74 કરોડની રકમ પડાવી તેમના જણાવ્યા અનુસાર, એક પેપરનો ભાવ રૂપિયા 10 લાખ રાખવામાં આવ્યો છે અને 'RENEET LEAKER' સહિતની અનેક ટેલિગ્રામ ચેનલો દ્વારા અત્યાર સુધીમાં આશરે 7901 લોકો પાસેથી ₹5.74 કરોડથી વધુની રકમ વસૂલવામાં આવી હોવાનો પ્રાથમિક અંદાજ છે. યુવરાજસિંહે દાવો કર્યો હતો કે 'રાઘવ સર' નામનો શખ્સ આ સમગ્ર નેટવર્ક સંચાલિત કરતો હોવાની શંકા છે અને ઉપલબ્ધ ઓડિયો રેકોર્ડિંગમાં તે અગાઉ પણ પેપર લીક કરાવ્યાની કબૂલાત કરતો સંભળાય છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →