હવે આરોપીઓનો વરઘોડો નીકળશે નહીં:હિંસક ટોળા કે જાહેર રોષથી બચાવવાની જવાબદારી પણ પોલીસની; માનવ અધિકારોની જાળવણી માટે DGPનો આદેશ
ગુજરાત પોલીસ માટે રાજ્યના ડીજીપીએ મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અનુસાર હવે કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકાશે નહીં તેમજ આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. માનવ અધિકારોનું ઉલ્લંઘન ન થાય તે માટે તકેદારી રાખવા જણાવાયું
ડીજીપીએ આપેલી સૂચનામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આરોપી ભલે ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય, તેમ છતાં કાયદાની મર્યાદામાં રહીને જ તેની સાથે વ્યવહાર કરવો પડશે. આરોપીનું આત્મસન્માન જળવાય અને માનવ અધિકારોનું ઉલ્લંઘન ન થાય તે માટે રાજ્યભરની પોલીસને ખાસ તકેદારી રાખવા જણાવાયું છે. હિંસક ટોળા કે જાહેર રોષથી સુરક્ષિત રાખવાની જવાબદારી પોલીસની
આદેશ મુજબ આરોપીને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે પણ પૂરતી સાવચેતી રાખવાની રહેશે. સાથે જ આરોપીને કોઈ હિંસક ટોળા કે જાહેર રોષથી સુરક્ષિત રાખવાની જવાબદારી પોલીસની રહેશે. આરોપીને જાહેરમાં ઉઠક-બેઠક નહીં કરાવી શકાય
ડીજીપીએ કેટલાક વર્તન પર સ્પષ્ટ પ્રતિબંધ પણ મૂક્યો છે. જેમાં જાહેરમાં ઉઠક-બેઠક કરાવવી, ઘૂંટણીએ ચલાવવો, લાત કે લાકડીથી માર મારવો, હાથ જોડાવી કે કાન પકડાવી માફી મંગાવવી તેમજ આરોપીને જાહેરમાં ‘મુર્ગો’ બનાવવાની જેવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. માનવ અધિકારો અને કાનૂની પ્રક્રિયાની જાળવણી માટે નિર્ણય
પોલીસ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી આરોપીઓ સાથે જાહેરમાં અપમાનજનક વર્તનના વીડિયો સામે આવતા હતા. તેવા બનાવોને ધ્યાનમાં રાખીને માનવ અધિકારો અને કાનૂની પ્રક્રિયાની જાળવણી માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આરોપીઓના મૂળભૂત અધિકારોનું રક્ષણ થશે
કાયદા નિષ્ણાતોના મતે આ આદેશથી પોલીસની કામગીરી વધુ સંવેદનશીલ અને કાયદેસરની બનશે તેમજ આરોપીઓના મૂળભૂત અધિકારોના રક્ષણમાં મદદ મળશે.
Read Original Article →