HTAT મુખ્ય શિક્ષકો માટે રાહતના સમાચાર:સળંગ સેવા અને OPSના 1,771 પડતર કેસોનો થશે નિકાલ, 15 જૂનથી વિશેષ કેમ્પ
રાજ્યના HTAT (મુખ્ય શિક્ષક) તરીકે ફરજ બજાવતા શિક્ષકો માટે શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્ય શિક્ષકોની સળંગ સેવા ગણવા તેમજ જૂની પેન્શન યોજના (OPS) સંબંધિત લાંબા સમયથી પડતર રહેલા કેસોના નિકાલ માટે રાજ્યભરમાં વિશેષ કેમ્પ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી અંદાજે 1,771 મુખ્ય શિક્ષકોને સીધો લાભ મળશે. શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ 15 જૂન 2026થી 8 જુલાઈ 2026 દરમિયાન જિલ્લા કક્ષાએ વિશેષ કેમ્પોનું આયોજન કરવામાં આવશે. કેમ્પમાં મુખ્ય શિક્ષકોની સેવા સળંગ ગણવા, રજા હેતુસર સેવા સતત ગણવાની દરખાસ્તો તેમજ OPS માટેની પાત્રતા અંગેના કેસોની તપાસ કરીને નિર્ણય લેવામાં આવશે. 1 એપ્રિલ 2005 અગાઉના શિક્ષકોને મોટો લાભ
પરિપત્ર અનુસાર 1 એપ્રિલ 2005 પહેલાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સીધી ભરતીથી નિયુક્ત થયેલા અને ત્યારબાદ મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક પામેલા શિક્ષકોની અગાઉની સેવા સળંગ ગણવાની દરખાસ્ત તૈયાર કરાશે. આવા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળવાનો માર્ગ સરળ બનશે. અનુદાનિત શાળાઓમાંથી આવેલા શિક્ષકોના કેસ પણ ચકાસાશે
અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અથવા આશ્રમશાળાઓમાં સેવા આપ્યા બાદ સરકારી શાળાઓમાં મુખ્ય શિક્ષક તરીકે જોડાયેલા કર્મચારીઓના કેસોની પણ સમીક્ષા કરવામાં આવશે. તેમની અગાઉની સેવાને પેન્શન અને અન્ય લાભો માટે સળંગ ગણવાની બાબતે નિર્ણય લેવામાં આવશે. 2005 બાદના શિક્ષકો માટે રજા હેતુસર સેવા સળંગ ગણવાની દરખાસ્ત
1 એપ્રિલ 2005 બાદ ભરતી થયેલા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોના કેસોમાં રજા હેતુસર સેવા સળંગ ગણવા માટે અલગથી દરખાસ્ત તૈયાર કરવામાં આવશે. જોકે તેમને OPSનો લાભ મળશે કે નહીં તે અંગે નિયમો અનુસાર નિર્ણય લેવામાં આવશે. OPS માટે 3 માસમાં વિકલ્પ આપવો પડશે
શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જે કર્મચારીઓ OPS માટે પાત્ર ઠરશે તેમણે ત્રણ મહિનાની અંદર લેખિત વિકલ્પ આપવાનો રહેશે. સમયમર્યાદામાં વિકલ્પ નહીં આપનાર કર્મચારીઓ અંગે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. રાજીનામું આપનારને લાભ નહીં
પરિપત્રમાં જણાવાયું છે કે જો કોઈ કર્મચારીએ અગાઉની નોકરીમાંથી રાજીનામું આપીને નવી નિમણૂક સ્વીકારી હોય, તો તેવા કેસોમાં સળંગ સેવા અથવા OPSના લાભ માટે પાત્રતા મળશે નહીં. દરેક કેસની વ્યક્તિગત ચકાસણી બાદ નિર્ણય લેવામાં આવશે. નોડલ અધિકારીની રહેશે નિમણૂંક
સમગ્ર કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે દરેક જિલ્લામાં નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવશે. સંબંધિત દસ્તાવેજો, સેવા પુસ્તિકા, નિમણૂક આદેશ અને અન્ય પુરાવાના આધારે કેસોની તપાસ કરીને અંતિમ દરખાસ્ત સરકારને મોકલવામાં આવશે.શિક્ષણ વિભાગના આ નિર્ણયને HTAT મુખ્ય શિક્ષકો માટે વર્ષોથી ચાલતી માંગણીઓના ઉકેલ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. OPS અને સળંગ સેવા સંબંધિત હજારો શિક્ષકોની અનિશ્ચિતતા હવે દૂર થવાની આશા જાગી છે.
Read Original Article →