'NEET પરીક્ષા રદ્દ કરવા પાછળ વિદ્યાર્થીઓના હિતની ચિંતા':આરોગ્ય મંત્રીએ કહ્યું- સાચી જગ્યાએ ખોટા લોકો બેસી ગયા હોત અને મહેનતુ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાત
NEETની પરીક્ષા રદ્દ થવાના મુદ્દે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી આ પરીક્ષા વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે એજન્સી દ્વારા યોજવામાં આવે છે, પરંતુ તપાસ દરમિયાન ગંભીર ગેરરીતિઓ સામે આવતા સરકારને કડક નિર્ણય લેવાની ફરજ પડી હતી. 'સાચી જગ્યાએ ખોટા લોકો બેસી ગયા હોત'
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, જો પરીક્ષા યથાવત રાખવામાં આવી હોત તો “સાચી જગ્યાએ ખોટા લોકો બેસી ગયા હોત” અને મહેનતુ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાત. પ્રશ્નપત્ર લીક કરવાનું કૃત્ય અત્યંત જઘન્ય હોવાનું કહી તેમણે સ્પષ્ટ કર્યું કે, સમગ્ર મામલે સીબીઆઈ તપાસ તો થશે જ. સાથે જ પરીક્ષા રદ્દ થવાને કારણે વિદ્યાર્થીઓને માનસિક તકલીફ પડી હોવાની સ્વીકારતા તેમણે કહ્યું કે, સરકાર તમામ વિદ્યાર્થીઓ સાથે છે અને તેમને વધુ શક્તિ આપવા માટે પ્રતિબદ્ધ છે. 'નર્સો આત્મિયતાભર્યું વાતાવરણ ઉભું કરીને દર્દીઓને સેવા આપે છે'
બીજી તરફ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે પણ આરોગ્ય મંત્રીએ નર્સિંગ સ્ટાફની સેવાઓને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યસ્તરીય સંયુક્ત કાર્યક્રમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો છે. કોઈપણ આપત્તિ કે આરોગ્ય સંકટ દરમિયાન નર્સો આત્મિયતાભર્યું વાતાવરણ ઉભું કરીને દર્દીઓને સેવા આપે છે, જે સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય છે. 'પીડાને સમજીને દર્દીને ફરી ઉભા કરવાનું કાર્ય નર્સો કરે છે'
પ્રફુલ પાનસેરિયાએ વધુમાં જણાવ્યું કે, ભાષા અને ધર્મ અલગ હોઈ શકે, પરંતુ દર્દીની પીડા સૌ માટે સમાન હોય છે. આ પીડાને સમજીને દર્દીને ફરી ઉભું કરવાનું કાર્ય નર્સો કરે છે, જે માનવસેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમની સેવાઓને લોકો દિલથી સ્વીકારી સન્માન આપે તે જ સાચું માનવીય સન્માન હોવાનું તેમણે ઉમેર્યું.
Read Original Article →