ભૂપેન્દ્ર પટેલ અને સંઘવીને દિલ્હીનું તેડું:Dy.CM રવાના, CM આવતીકાલ સુધીમાં પહોંચશે, સુરતના ભુતિયા ડિમોલિશન સહિતના મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આજે (9 જૂન) દિલ્હી પહોંચી ગયા છે, જ્યારે મુખ્યમંત્રી આજે મોડી સાંજે અથવા આવતીકાલે (10 જૂન) વહેલી સવારે દિલ્હી જવાના છે. આગામી બે દિવસ દરમિયાન દિલ્હીમાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠકો અને કાર્યક્રમોમાં ગુજરાત સરકાર સક્રિય ભાગ લેશે. સુરતના ભુતિયા ડિમોલિશન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. રાજ્ય કેબિનેટ બેઠક મોકૂફ રખાઈ
દિલ્હી પ્રવાસને કારણે મુખ્યમંત્રીની મંગળવાર અને બુધવારની જનતા તથા જનપ્રતિનિધિઓ સાથેની મુલાકાતો રદ કરવામાં આવી છે. ઉપરાંત, બુધવારે યોજાનારી રાજ્ય કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી છે. PM મોદી કાર્યકાળના આવતીકાલે 12 વર્ષ પૂર્ણ થશે
પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજરી આપશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત થવાની સંભાવના છે. 11 જૂને યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ગુજરાત સરકાર રાજ્યના વિકાસ માટેનો રોડમેપ રજૂ કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, રોકાણ, કૃષિ અને ટેકનોલોજી આધારિત સુશાસન સહિતના વિવિધ ક્ષેત્રોની યોજનાઓ કેન્દ્ર સમક્ષ રજૂ કરવામાં આવશે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થવાની શક્યતા છે
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં તાજેતરમાં કચ્છના હરામીનાળા વિસ્તારની તેમની મુલાકાત દરમિયાન આપવામાં આવેલા સૂચનો અંગે ચર્ચા થઈ શકે છે. સરહદી સુરક્ષા, વિકાસલક્ષી કામગીરી, સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ મજબૂત બનાવવા અને સુરતના ચર્ચિત એવા ભુતિયા ડિમોલિશન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા વિચારણા થવાની શક્યતા છે. ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ચર્ચા થઈ શકે
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, આંતરિક સુરક્ષા અને ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંગે પણ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ચર્ચા થવાની સંભાવના છે. સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ સંકલન અને ગુનાખોરી સામેની કાર્યવાહી વધુ અસરકારક બનાવવા મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. દિલ્હીમાં યોજાનારી આ બેઠકોને રાજ્ય સરકાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે વિકાસ, સુરક્ષા અને વહીવટી મુદ્દાઓ પર આગામી સમયના નિર્ણયો માટે આ ચર્ચાઓ મહત્વની સાબિત થઈ શકે છે. આ પણ વાંચો મોદીએ નહેરૂનાં નામે સંસદમાં સટાસટી બોલાવી, કાલે 64 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ 12 વર્ષ પૂરાં કર્યા. આમ જુઓ તો જવાહરલાલ નહેરૂ 16 વર્ષ વડાપ્રધાન હતા પણ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નહેરૂને પણ 12 વર્ષ થયા હતા. 1952માં લોકસભાની પહેલી ચૂંટણી થઈ. કોંગ્રેસ સત્તામાં આવી. જવાહરલાલ નહેરૂ ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા. ચૂંટાયા પછી એ 4398 દિવસ વડાપ્રધાન પદે રહ્યા. હવે મોદીજી 10 જૂને (આવતીકાલે) 4399 દિવસની સત્તા પૂરી કરે છે. એ હિસાબે મોદી નહેરૂનો 64 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે. (વાંચો સંપૂર્ણ સમાચાર) સુરતના ડિમોલિશનનું 'ભૂત' કોણ? સુરતમાં 29 અને 30 મે,2026ના રોજ વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિર નગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 જેટલા મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જો કે આ ડિમોલિશન ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું છે. સસ્પેન્સ ફિલ્મને આંટી મારે એવા રહસ્યના તાણાવાણા ગૂંથાયેલા છે. જો કે આ ભૂતિયા ડિમોલિશનનો 'વિલન' કોણ છે તેનો ચહેરો સામે આવવાનો હજુ બાકી છે. હાલ સુરતમાં સૌથી વધુ ચર્ચાતો જો કોઈ સવાલ હોય તો એ છે કે, શું બે મોટા પ્રોજેક્ટ્સને ફાયદો કરાવવા માટે નાસીર નગરના 100થી વધુ પરિવારોના આશિયાના છીનવી લેવાયા છે? રેસિડેન્શિયલ પ્રોજેક્ટ(શૈલેષ બગદાણાનો) અને ગેસ એજન્સીની વચ્ચે આવેલા મકાનોને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. જો કે હજુ એક મકાનોની એક લાઇન છે અને તેને પણ ભવિષ્યમાં ખુલ્લી કરવાનો કારસો ઘડાવાની શક્યતા છે. આમ આખો રસ્તો ક્લિયર કરી દેવાની પેરવી છે. દિવ્ય ભાસ્કરે આ ડિમોલિશનને લઈ ગૂગલ મેપ દ્વારા તથા ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. જેમાં સૌરાષ્ટ્રના બે બિલ્ડર તથા અન્ય એક નામાંકીત ગ્રુપના પાર્ટનરની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાની વાત સામે આવી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →