અમદાવાદના ભૂમાફિયાએ ગિફ્ટ સિટી પાસે 190 કરોડની જમીન હડપી:કૌશિક વઘાસિયાએ NRI વૃદ્ધની 18 વીઘા જમીનના ખોટા દસ્તાવેજો બનાવ્યા, તપાસમાં ભાંડો ફૂટ્યો
NRI વૃદ્ધ ખેડૂતની જાણ બહાર ગાંધીનગર ગિફ્ટ સિટી પાસેના રતનપુર ગામની સીમમાં આવેલી 190 કરોડની માર્કેટ વેલ્યુની 18 વીઘા જમીનના ખોટા દસ્તાવેજો બનાવી અમદાવાદના કૌશિક સવજીભાઈ વઘાસિયા નામના ભૂમાફિયાએ મળતીયાઓ સાથે મળીને જમીન પચાવી મસમોટું કૌભાંડ આચર્યું હોવાનું સીટની તપાસમાં બહાર આવતા કલેકટરના હુકમથી ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર કલેક્ટરની તપાસમાં અમદાવાદના ભૂમાફિયાનો ભાંડો ફૂટ્યો
ગાંધીનગરના ગિફ્ટ સિટીને અડીને આવેલા રતનપુર ગામની સીમમાં આવેલી કરોડો રૂપિયાની કિંમતની જમીન પચાવી પાડવા ભૂમાફિયાઓએ આચરેલા કૌભાંડનો કલેક્ટર ગાંધીનગર અને જમીન તકેદારી સમિતિ લેન્ડ ગ્રેબિંગની તપાસમાં ભાંડો ફૂટી ગયો છે. આ પ્રકરણમાં ખેડા જિલ્લાના વસો તાલુકાના રામપુરા ગામના 74 વર્ષીય ખેડૂત પ્રભુદાસ જેસંગભાઈ પટેલની માલિકીની અંદાજે 18 વીઘા જમીન ઘસી કાઢવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ખોટા દસ્તાવેજ બનાવીને જમીનનો વેચાણ દસ્તાવેજ તૈયાર કર્યો
સમગ્ર કૌભાંડની ફરિયાદ મુજબ NRI વૃદ્ધ ખેડૂત પ્રભુદાસ પટેલે વર્ષ 2007માં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ દ્વારા રતનપુર ગામની સીમમાં (સર્વે નંબર 488, 492 અને 493) જમીન ખરીદી હતી. ત્યારથી આ જમીનનો કબજો અને રેવન્યુ રેકોર્ડ તેમના નામે જ ચાલતા હતા. જોકે ગત 13મે 2024ના રોજ વૃદ્ધ ખેડૂતને જાણવા મળ્યું હતું કે અજાણ્યા શખ્સો દ્વારા ખોટી પાવર ઓફ એટર્ની બનાવીને જમીનનો વેચાણ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે. નોટરી સમક્ષ નોંધ પણ પડાવીને કારસ્તાન કર્યું
જેની વધુ તપાસ કરતા બહાર આવ્યું હતું કે, કૌશિક સવજીભાઈ વઘાસિયા (રહે . ગિરિરાજ હોમ્સ, નિકોલ રોડ, અમદાવાદ) નામના ભૂમાફિયાએ ખેડૂતની ખોટી સહીઓ કરીને બનાવટી પાવર ઓફ એટર્ની તૈયાર કરી હતી. જેની નોટરી સમક્ષ પણ નોંધ પડાવી હતી. આ બનાવટી દસ્તાવેજને આધારે તેણે ખેડૂતને એક પણ રૂપિયો ચૂકવ્યા વિના અન્ય મળતીયાઓ સાથે મળી કાવતરું રચીને પોતાની તરફેણમાં વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. જમીન પર કૌશિક સવજીભાઈ વઘાસિયાએ પોતાના નામનું બોર્ડ લગાવ્યું
આ ઉપરાંત ખેડૂત પ્રભુદાસ હયાત હોવા છતાં તેમના નામે ખોટું સોગંદનામું બનાવીને તેને પણ નોટરાઈઝ કરાવવામાં આવ્યું હતું. ત્યારે ખેડૂતે પોતાની જમીન પર જઈને તપાસ કરી ત્યારે કૌશિક સવજીભાઈ વઘાસિયાએ પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતું. આ સમગ્ર મામલે તેમણે કલેક્ટર ગાંધીનગર અને જમીન તકેદારી સમિતિમાં લેન્ડ ગ્રેબિંગ અંગે ફરિયાદ કરી હતી. ભૂમાફિયા કૌશિક સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
જેની તપાસના અંતે કલેક્ટરના હુકમ બાદ ડભોડા પોલીસ સ્ટેશનમાં ભૂમાફિયા કૌશિક સવજીભાઈ વઘાસિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આ જમીન મુદ્દે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા પછી ચાર્જશીટ પણ કરી દેવામાં આવતા મદદનીશ પોલીસ અધીક્ષક આયુષ જૈન દ્વારા સમગ્ર કૌભાંડની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. 'ખોટા દસ્તાવેજો અને લેન્ડ ગ્રેબિંગ મામલે તત્કાલીન કલેકટરની SITમાં અરજી'
આ અંગે ભોગ બનનાર NRI વૃદ્ધ ખેડૂત પ્રભુદાસ પટેલ અને તેના મિત્ર રાકેશ ગોહિલના કહેવા મુજબ, આ મામલે વર્ષ 2024માં ખોટા દસ્તાવેજો અને લેન્ડ ગ્રેબિંગની બે અરજી તત્કાલીન કલેકટરની એસઆઇટીમાં અરજી કરી હતી. એ વખતે જમીનનું પંચનામુ સહિતની તપાસના અંતે માત્ર ખોટા દસ્તાવેજોનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને ફરી પંચનામા માટે આરોપીની હાજરી-ધરપકડ અનિવાર્ય હોવાનું કહીને લેન્ડ ગ્રેબિંગ દાખલ કરાઈ ન હતી. બાદમાં નવ મહિને કૌશિક વઘાસિયાની ધરપકડ થઈ હતી. ત્યારપછી પોલીસે ખોટા દસ્તાવેજો લગત નોંધાયેલા ગુનાનું ચાર્જશીટ કર્યું હતું. પરંતુ લેન્ડ ગ્રેબીંગની અલગથી ફરિયાદ નોંધી ન હતી. જેથી અમે હાઇકોર્ટમાં ગયા હતા. ‘હાઇકોર્ટના હુકમની મુદત આજે 9 જૂન મંગળવારે પૂર્ણ’
વધુમાં કહ્યું કે, કોર્ટે 6 ફેબ્રુઆરી 2026ના રોજ આઠ અઠવાડિયામાં નિર્ણય લેવાનું કહ્યું હતું. એટલે પ્રભુદાસભાઈ લંડનથી આવ્યા હતા. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોઈ કોઈ કારણસર ફરિયાદ થઈ ન હતી. એવામાં તત્કાલીન કલેકટર વય નિવૃત થઈ ગયા હતાં. ત્યારે હાઇકોર્ટના હુકમની મુદત આજે 9 જૂન મંગળવારે પૂર્ણ થતી હતી અને નવ નિયુક્ત કલેકટરના હુકમથી લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બિલ્ડર સહિત સચિવાલયના જ ઉચ્ચ અધિકારીનો રોલ હોવાની ચર્ચા
આ અંગે સૂત્રોએ જણાવ્યું કે, આ મસમોટા જમીન કૌભાંડમાં કૌશિક વઘાસિયા એકમાત્ર નામ પૂરતું મ્હોરું સમાન છે. પરંતુ આ કરોડોની જમીન હડપી લેવાના પિકચર પાછળ એક મોટા ગજાના બિલ્ડર સહિત પાંચ લોકોની ભૂમિકા હજી બહાર આવી નથી. જો સરકાર કક્ષાએથી એક વિશેષ ટીમ બનાવીને મૂળિયા સુધી ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો બિલ્ડર તો ઠીક સચિવાલયના જ ઉચ્ચ અધિકારીની નીચે પણ રેલો આવી શકે છે.
Read Original Article →