કરોડોની જમીન હડપવાનું મોટું કૌભાંડ:સોનીપુરમાં ભાઈએ જ ભાઈના નામે બનાવટી દસ્તાવેજ બનાવી જમીન વેચી મારી, નોટરી સહિત છ સામે ગુનો દાખલ
ગાંધીનગરના સોનીપુર ગામમાં વડિલોપાર્જિત કરોડોની જમીન પચાવી પાડવા માટે એક સગા મોટા ભાઈએ જ પોતાના નાના ભાઈ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાના ભાઈની જાણ બહાર અન્ય મળતીયાઓ સાથે મળીને ખોટા અંગૂઠાના નિશાન અને બનાવટી દસ્તાવેજોના આધારે કરોડોની જમીન ત્રીજી વ્યક્તિને વેચી મારવાનું વ્યવસ્થિત કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ મામલે FSL રિપોર્ટના આધારે કલેક્ટરના હુકમથી પેથાપુર પોલીસે નોટરી વકીલ સહિત 6 શખસો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 2023માં જમીન વેચાઈ ગઈ હોવાની નાના ભાઈને થઈ જાણ
પોલીસ મથકે નોંધાયેલી સત્તાવાર ફરિયાદ અનુસાર, ગાંધીનગરના સોનીપુર ગામના રહેવાસી ભીખાજી જવરાજી ઠાકોર અને તેમના ભાઈઓની સંયુક્ત માલિકીની સોનીપુર ગામમાં સર્વે નંબર 417 અને 636વાળી કિંમતી વડિલોપાર્જિત જમીન આવેલી છે. વર્ષ 2023માં ભીખાજી ઠાકોરને અચાનક જાણવા મળ્યું હતું કે, તેમની આ માલિકીની જમીન શૈલેષભાઈ કનુભાઈ પટેલ નામના વ્યક્તિએ ખરીદી લીધી છે અને તે જમીનના માલિક બની બેઠા છે. આ ચોંકાવનારી વિગત સામે આવતા જ ભીખાજીએ જમીનના રેકોર્ડની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. સગા ભાઈ અને મળતીયાઓએ ભેગા મળીને બનાવટી દસ્તાવેજ બનાવ્યા
જમીન સંબંધી કાગળોની તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, ભીખાજીના મોટા ભાઈ કાંતિજી જવરાજી ઠાકોરે અન્ય આરોપીઓ સાથે સાંઠગાંઠ કરીને ભીખાજીની જાણ બહાર જમીનમાંથી તેમનો હક્ક પૂરો કરવા માટે એક નકલી 'હક્ક કમી લેખ' (બનાવટી દસ્તાવેજ) તૈયાર કરાવ્યો હતો. આ દસ્તાવેજમાં ભીખાજીના નામે કોઈ અન્ય વ્યક્તિના ખોટા અંગૂઠાના નિશાન લેવામાં આવ્યા હતા. કૌભાંડને અંજામ આપવા માટે નીચે મુજબના મળતીયાઓએ ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ છે: FSL તપાસમાં અંગૂઠાના નિશાન નકલી સાબિત થયા
આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ ભીખાજી ઠાકોરે ન્યાય મેળવવા માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં પુરાવાઓ સાથે અરજી કરી હતી. કલેક્ટર કચેરી દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન અસલ હક્ક કમી લેખ અને ભીખાજીના અસલી અંગૂઠાના નિશાનના સેમ્પલ મેળવીને ગાંધીનગર વિજ્ઞાન પ્રયોગશાળા (FSL) માં મોકલવામાં આવ્યા હતા. FSLના વૈજ્ઞાનિક પરીક્ષણના રિપોર્ટમાં સ્પષ્ટ સાબિત થયું હતું કે દસ્તાવેજ પર કરવામાં આવેલા અંગૂઠાના નિશાન ભીખાજીના નથી અને તે સંપૂર્ણપણે નકલી છે. કલેક્ટરના આદેશથી પેથાપુર પોલીસે ગુનો નોંધ્યો
FSL રિપોર્ટ દ્વારા દસ્તાવેજો બનાવટી હોવાનું સાબિત થતાં જિલ્લા કલેક્ટરે આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના હુકમ કર્યા હતા. જેના આધારે પેથાપુર પોલીસે ભીખાજીના સગા મોટા ભાઈ કાંતિજી ઠાકોર, નોટરી વકીલ રાજેશભાઈ પટેલ સહિત કુલ છ વ્યક્તિઓ સામે ઠગાઈ, જાળસાજી અને બનાવટી દસ્તાવેજો ઉભા કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ કરોડોના જમીન કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓની અટકાયત કરવાની ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →