જૂના સચિવાલયમાં કરોડોનું ગ્રાન્ટ કૌભાંડ:વંચિતો માટેની 4.95 કરોડની સરકારી રકમ બોગસ ડોક્યુમેન્ટ્સ ઊભા કરી એજન્સીઓમાં ટ્રાન્સફર
ગાંધીનગરમાં સત્તાના કેન્દ્ર સમાન જૂના સચિવાલયના બ્લોક નંબર-16માં આવેલી એક સરકારી કચેરીમાં કરોડો રૂપિયાના સરકારી નાણાંની ઉચાપતનું મસમોટું કૌભાંડ સપાટી પર આવ્યું છે. સમાજના વંચિત વર્ગોના ઉત્કર્ષ અને સુરક્ષા માટે ફાળવવામાં આવેલી અંદાજે 4.95 કરોડથી વધુની સરકારી ગ્રાન્ટ ખોટા દસ્તાવેજોના આધારે બારોબાર સગેવગે કરી દેવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવતા સમગ્ર વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ મામલે સ્થાનિક પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. જેના પગલે આગામી દિવસોમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. ગ્રાન્ટ સીધેસીધી એજન્સીઓના ખાતામાં ટ્રાન્સફર કરીને અંગત સ્વાર્થ માટે વપરાઈ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આખું આર્થિક કૌભાંડ છેલ્લા ચારેક વર્ષથી ખૂબ જ વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે ચાલી રહ્યું હતું. સરકારી બાબુ સહિતની ટોળકીએ સરકારી ગ્રાન્ટ મેળવવા માટે મંજૂરીની પ્રક્રિયામાં મેલી મુરાદ રાખીને બોગસ ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હતા. વેલ્ફર એક્ટિવિટીઝ માટે આવતી ગ્રાન્ટ સીધેસીધી એજન્સીઓના ખાતામાં ટ્રાન્સફર કરીને ત્યારબાદ તે રકમ અંગત સ્વાર્થ માટે વાપરી નાખવામાં આવી હતી. આ કૌભાંડમાં કચેરીના જ એક ઉચ્ચ અધિકારી , કર્મચારી અને ત્રણથી ચાર ખાનગી એજન્સીઓની મિલીભગત હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પ્રાથમિક ચકાસણીમાં જ કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાના પુરાવા મળ્યા
નવાઈની વાત તો એ છે કે સરકારના નાક નીચે આટલું મોટું કૌભાંડ આચરાયું હોવા છતાં લાંબા સમય સુધી તેની કોઈને ગંધ સુધ્ધાં આવી નહોતી. આ કૌભાંડનો પર્દાફાશ એક જાગૃત અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. અરજદારે આ સમગ્ર ગેરરીતિ અંગેના નક્કર પુરાવાઓ એકત્ર કરીને પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા ત્યારે પોલીસની પ્રાથમિક ચકાસણીમાં જ કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાના પુરાવા મળી આવતા તાત્કાલિક અસરથી ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવી પણ ચર્ચા છે કે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી બચવા માટે વિદેશ ભાગી છૂટ્યો છે જેને પરત લાવવા માટે પણ કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. કચેરીમાંથી શંકાસ્પદ ફાઈલો અને દસ્તાવેજો પણ કબજે લેવામાં આવ્યા
હાલમાં ગાંધીનગર પોલીસ દ્વારા આ કેસને અત્યંત સંવેદનશીલ ગણીને ગુપ્ત રાહે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસની ટીમો દ્વારા જૂના સચિવાલયની જે-તે કચેરીની મુલાકાત લેવામાં આવી હતી અને છેલ્લા ચાર વર્ષ દરમિયાન ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ અધિકારીઓના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત કચેરીમાંથી શંકાસ્પદ ફાઈલો અને દસ્તાવેજો પણ કબજે લેવામાં આવ્યા છે. ટેકનિકલ પુરાવાઓ મેળવવા માટે કચેરીમાં વપરાતા કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવનાર છે. પોલીસની સતત અવર જવર અને પૂછપરછને કારણે સરકારી કર્મચારીઓમાં ફફડાટ
સચિવાલયના વર્તુળોમાં એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે આ કૌભાંડના તાર માત્ર અધિકારીઓ પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ કેટલાક વગદાર રાજકીય માથાઓના આશીર્વાદ પણ હોઈ શકે છે. જો નિષ્પક્ષ તપાસ થાય તો અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. જૂના સચિવાલયમાં પોલીસની સતત અવર જવર અને પૂછપરછને કારણે સરકારી કર્મચારીઓમાં કુતૂહલ અને ફફડાટ બંને જોવા મળી રહ્યા છે. જે રીતે એક પછી એક ફાઈલોની તપાસ થઈ રહી છે તે જોતા આગામી દિવસોમાં મોટા ગજાના રાજકીય નેતાઓ કે વગદાર અધિકારીઓના નામો ખૂલે તો નવાઈ નહીં. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, જો ઊંડાણપૂર્વક તપાસ થાય તો ભ્રષ્ટાચારના અનેક દટાયેલા મુડદાં બહાર આવી શકે તેમ છે. હાલમાં તો પોલીસે ગુપ્ત રાહે તમામ કડીઓ જોડવાનું શરૂ કર્યું છે જે ટૂંક સમયમાં મોટા ધડાકા તરફ નિર્દેશ કરી રહ્યું છે.
Read Original Article →