ભૂ માફિયાઓએ ખનિજ વિભાગને 23.46 લાખનો ચૂનો ચોપડ્યો:નકલી ચલણો અને સહી રજૂ કરી લાખોનો દંડ ભર્યાં વિના જ વાહનો છોડાવ્યા, બેંકમાં ખરાઈ કરતા ત્રણ મહિને ભાંડો ફૂટ્યો

Gujarat4/7/2026, 4:50:12 AM
ભૂ માફિયાઓએ ખનિજ વિભાગને 23.46 લાખનો ચૂનો ચોપડ્યો:નકલી ચલણો અને સહી રજૂ કરી લાખોનો દંડ ભર્યાં વિના જ વાહનો છોડાવ્યા, બેંકમાં ખરાઈ કરતા ત્રણ મહિને ભાંડો ફૂટ્યો
ગાંધીનગરમાં ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરની કચેરી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સરકારી તિજોરીમાં દંડની પૂરેપૂરી રકમ ભરવાને બદલે ત્રણ ભૂ માફીયાઓએ બેંકના ખોટા ચલણો અને અધિકારીની બનાવટી સહીઓનો ઉપયોગ કરીને સરકારને રૂપિયા 23.49 લાખનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ડભોઈમાં ગેરકાયદે ખનન કરનારને દંડ ફટકાર્યો હતો સેકટર 10 જૂના સચિવાલય બ્લોક નંબર 15 ખાતે કાર્યરત ભૂસ્તર વિજ્ઞાન-ખાણ ખનીજ કમિશનર કચેરીના રોયલ્ટી ઈન્સ્પેક્ટર નિસર્ગ ભટ્ટે આ મામલે વિધિવત ફરિયાદ નોંધાવી છે. ખાણ ખનીજ વિભાગે નકલી ચલણોના આધારે જે તે સમયે વાહનો પણ છોડી દીધાના ત્રણ મહિને આ કૌભાંડની જાણ થતા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. આ કૌભાંડની શરૂઆત મે 2025માં થઈ હતી, જ્યારે ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ડભોઈ પંથકમાં ગેરકાયદે ખનન અને વહન બાબતે તપાસ કરવામાં આવી હતી. દંડના નકલી ચલણો રજૂ કરી વાહનો છોડાવ્યો આ તપાસ દરમિયાન પકડાયેલા વાહનો અને સ્ટોકધારકને દંડ ભરવા માટે જૂન અને જુલાઈ મહિનામાં ચલણો આપવામાં આવ્યા હતા. આરોપીઓએ આ ચલણો ભરી દીધા હોવાના પુરાવા કચેરીમાં રજૂ કરતા જૂન 2025માં તેમના વાહન મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જોકે ઓગસ્ટ માસમાં જ્યારે કચેરી દ્વારા આ ચલણોની બેંકમાં ખરાઈ કરાવવામાં આવી ત્યારે ત્રણ મહિના બાદ એટલે કે 1 સપ્ટેમ્બર 2025ના રોજ બેંકના રિપોર્ટમાં આ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો. બનાવટી દસ્તાવેજોથી વિભાગનો લાખોનો ચૂનો ચોપડ્યો ત્યારે વિભાગની વડી કચેરીને ખબર પડી કે, આરોપીઓએ દંડની રકમ ભરવા માટે વિભાગ પાસેથી અસલી ચલણો મેળવ્યા હતા. પરંતુ બેંકમાં પૂરી રકમ ભરવાને બદલે છેતરપિંડી આચરી હતી.​ ચિરાગ રબારીએ (રહે.ડભોઈ)રૂ. 2.05 લાખના ચલણ સામે બેંકમાં માત્ર રૂ. 1,387 જ જમા કરાવ્યા હતા. જ્યારે સોહમ ગજેરાએ ( રહે.વડોદરા) રૂપિયા 11.83 લાખના ચલણ સામે માત્ર રૂપિયા 2,087 ભરીને નકલી પાવતી રજૂ કરી હતી. તો ​હસમુખ કાંસકીવાલાએ (રહે.ડભોઈ) રુપિયા 4.73 લાખનું ચલણ જમા કરાવ્યા વગર જ બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ નકલી ચલણો પર મદદનીશ નિયામક આર્જવ શુક્લાની ખોટી સહીઓ કરી તેને કચેરીમાં સાચા તરીકે રજૂ કર્યા હતા. જેના આધારે વિભાગ દ્વારા જેતે સમયે વાહનો પણ મુક્ત કરી દેવાયા હતા. જોકે ઓગસ્ટ માસમાં જ્યારે વિભાગ દ્વારા બેંકમાં આ ચલણોની ખરાઈ કરાવવામાં આવી. ત્યારે 1 સપ્ટેમ્બર 2025ના રોજ બેંકના રિપોર્ટમાં ખાણ ખનીજ વિભાગને લાખોનો ચૂનો લાગ્યો હોવાનો અહેસાસ થયો હતો. હવે આ સમગ્ર મામલે સેક્ટર-7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Read Original Article →