ગાંધીનગરમાં જ્ઞાન લાઇવના સંચાલકની દાદાગીરી!:વિદ્યાર્થીએ 3 લાખ બાકી મહેનતાણું માંગતા જાહેરમાં અપમાનિત કર્યો, રૂમમાં પૂરીને મારવાની ધમકી આપી
ગાંધીનગર સહિત ગુજરાતભરમાં શિક્ષણ જગતમાં મોટું નામ ધરાવતી જાણીતી ઓનલાઇન એકેડમી જ્ઞાન લાઇવના સંચાલક ચેતન પટેલ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ થતાં ચકચાર મચી જવા પામી છે. એકેડમીમાં ફ્રીલાન્સ તરીકે કામ કરતા વિદ્યાર્થીએ પોતાના મહેનતાણાના રૂ. 3.05 લાખની માંગણી કરતા સંચાલકે તેને જાહેરમાં અપમાનિત કરી રૂમમાં પૂરીને માર મારવાની ધમકી આપ્યાનો સનસનીખેજ મામલો સામે આવતા ઇન્ફોસિટી પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી સંસ્થામાં ટેસ્ટ પેપર અને પુસ્તકો તૈયાર કરતો હતો
મૂળ સુરેન્દ્રનગરના ચુડા ગામનો વતની અને હાલમાં સેકટર 4 ખાતે રહેતો મુકેશ પાલાભાઈ મકવાણા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીની સાથે સાથે સંસ્થાઓમાં ટેસ્ટ પેપર અને પુસ્તકો તૈયાર કરવાનું કામ કરીને ગુજરાન ચલાવે છે. આશરે એક વર્ષ પહેલા તે કુડાસણ સ્થિત જ્ઞાન લાઇવ એકેડમી સાથે જોડાયો હતો. મહેનતાણું ચુકવવામાં મુદ્દત આપતા હતા
જ્યાં તેણે પોલીસ ભરતી અને જીપીએસસીની પરીક્ષાના ટેસ્ટ પેપર બનાવવાનું કામ શરૂ કર્યું હતું. આ કામગીરી દરમિયાન સંસ્થા દ્વારા તેમને અવારનવાર અપમાનિત કરવામાં આવતો હોવાથી તેણે આઠ મહિના બાદ રાજીનામું આપી દીધું હતું. જેનું કુલ રૂ. 3.50 લાખ જેટલું મહેનતાણું બાકી હતું. જેમાંથી માત્ર રૂ. 45,000 સંસ્થા દ્વારા ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે બાકીના રૂ.3.05 લાખ વારંવાર માંગણી કરવા છતાં સંચાલકો ચેતન પટેલ અને તરલ પટેલ માત્ર મુદ્દતો આપીને સમય પસાર કરી રહ્યા હતા. મુકેશને જોતા જ જાહેરમાં અપમાનિત કર્યો
ત્યારે ગત તારીખ બીજી માર્ચના રોજ મુકેશ સંસ્થાની ઓફિસે પહોંચ્યો હતો. એ વખતે ચેતન પટેલે તેને જોઈને રોષે ભરાઈ તું મને મેસેજ કેમ કર્યા કરે છે તેમ કહીને બોલાચાલી શરૂ કરી દીધી હતી. સંચાલક ચેતને મુકેશને જાહેરમાં ઉંચા અવાજે બોલીને અપમાનિત કર્યો હતો. જાણીતી એકેડમીના સંચાલકોની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા થયા
આટલું જ નહીં મુકેશનો હાથ પકડીને બળપૂર્વક લિફ્ટ તરફ ખેંચીને, ઓફિસમાં ચાલ, તને પૈસા ચૂકવી આપું છું કહી રૂમમાં પૂરી દેવાની અને માર મારવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાથી ગભરાઈ ગયેલા મુકેશે બાદમાં પરિવાર સાથે ચર્ચા કરીને અંતે પોલીસનો આશરો લીધો છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ચેતન પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધતા નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી.ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ સમગ્ર પ્રકરણ જાણીતી એકેડમીના સંચાલકોની કાર્યપદ્ધતિ પર મોટા સવાલો ઉભા કર્યા છે.
Read Original Article →