ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રાજેશ પટેલે ચાર્જ સંભાળ્યો:કોંગ્રેસ તરફથી કોઈએ ઉમેદવારી નોંધાવી નહીં, પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થતાં ભાજપમાં ઉત્સાહ
ગાંધીનગર જિલ્લા પંચાયતના નવા સદસ્યોની પ્રથમ બેઠક કલેક્ટર રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ પણ ઉમેદવારી ફોર્મ ન ભરાતા ભાજપના બંને ઉમેદવારોને સર્વાનુમતે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતે ભાજપે આ નવી બોડીની રચનામાં જ્ઞાતિ અને વિસ્તારનું સંતુલન જાળવી રાખવા પર વિશેષ ભાર મૂક્યો છે. નવી વ્યવસ્થા મુજબ કલોલ તાલુકાના સભ્યને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. જ્યારે માણસા તાલુકાના સભ્યને ઉપપ્રમુખ અને પટેલ સમાજમાંથી પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર તાલુકાના પ્રતિનિધિને કારોબારી ચેરમેન તરીકે જવાબદારી આપવામાં આવી છે. 'શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પંચાયત વિશેષ ધ્યાન આપશે'
હાલ દહેગામ તાલુકાનું પ્રતિનિધિત્વ બાકી રાખવામાં આવ્યું છે. જેમાં આગામી સમયમાં બાંધકામ ચેરમેન કે અન્ય સમિતિમાં તેમને સ્થાન મળવાની શક્યતાઓ જણાઈ રહી છે. જિલ્લા પંચાયતના નવા પ્રમુખ રાજેશભાઈ પટેલે પદ સંભાળતાની સાથે જણાવ્યું હતું કે, પક્ષના મોવડી મંડળે તેમના પર જે વિશ્વાસ મૂક્યો છે તેના પર તેઓ સંપૂર્ણ ખરા ઉતરશે. જિલ્લાના જે કામો વર્ષોથી બાકી છે તેને પૂર્ણ કરવા માટે તેમની ટીમ કટિબદ્ધ રહેશે. ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પંચાયત વિશેષ ધ્યાન આપશે. 'ગાંધીનગર ગ્રીન બનાવવા માટે દરેક સભ્ય પોતાના ગામમાં વન કવચ ઉભું કરશે'
ખાસ કરીને શાળાઓમાં નવી સુવિધાઓ ઉભી કરવી, શિક્ષકોની ભરતી કરવી અને શાળા છોડી દેતા વિદ્યાર્થીઓનો દર ઘટાડવો તે તેમના મુખ્ય લક્ષ્યાંકો છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આહવાનને પગલે ગાંધીનગર ગ્રીન બનાવવા માટે દરેક સભ્ય પોતાના ગામમાં વન કવચ ઉભું કરશે. સભામાં જિલ્લા પંચાયતના સભ્યોની સાથે માણસાના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત
આ બેઠક પૂર્વે વિજેતા સભ્યોને પક્ષની શિસ્ત અને કામગીરી અંગે માર્ગદર્શન આપવા માટે એક વિશેષ મિટિંગ પણ યોજવામાં આવી હતી. આ પ્રથમ સભામાં જિલ્લા પંચાયતના સભ્યોની સાથે માણસાના ધારાસભ્ય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આગામી થોડા દિવસોમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને ફરી બેઠક મળશે.જેમાં બાકી રહેલી શિક્ષણ, આરોગ્ય અને મહિલા તેમજ બાળ કલ્યાણ જેવી વિવિધ સમિતિઓની રચના કરીને નારાજ સભ્યોને પણ યોગ્ય સ્થાન આપવામાં આવશે.
Read Original Article →