ખડગેના નિવેદન સામે ભાજપ આક્રમક:મૌન ધરણા યોજી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો, ધારાસભ્યનો કટાક્ષ-રાહુલ ગાંધીને શાક કિલોમાં આવે કે લિટરમાં તેની પણ ખબર નથી

Gujarat4/7/2026, 1:16:04 PM
ખડગેના નિવેદન સામે ભાજપ આક્રમક:મૌન ધરણા યોજી ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો, ધારાસભ્યનો કટાક્ષ-રાહુલ ગાંધીને શાક કિલોમાં આવે કે લિટરમાં તેની પણ ખબર નથી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કરવામાં આવેલા તાજેતરના વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ નિવેદનના વિરોધમાં ગાંધીનગર શહેર ભાજપ અને મહાનગર એકમ દ્વારા સેક્ટર-21 ના શોપિંગ સેન્ટર ખાતે મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકરો અને આગેવાનોએ એક કલાક સુધી મૌન પાળીને કોંગ્રેસના નેતૃત્વ સામે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો અને કોંગ્રેસ જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં ખાસ ઉપસ્થિત રહેલા ગાંધીનગરના ધારાસભ્ય રીટાબહેન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીઓમાં પોતાની હાર ભાળી ગયેલી કોંગ્રેસ હવે હતાશામાં આવા પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે. રીટાબહેને કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે, કોંગ્રેસની દાળ હવે પાકવાની નથી. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, જે નેતાને શાકભાજી કિલોમાં આવે કે લિટરમાં તેની પણ સમજ નથી તેમના માર્ગદર્શન હેઠળ ચાલતી કોંગ્રેસ હંમેશા જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. કોંગ્રેસ હંમેશા જાતિવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ કરે છે: રીટા પટેલ ગુજરાતની અસ્મિતાનો મુદ્દો ઉઠાવતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ જેવી મહાન વિભૂતિ ગુજરાતની દેન છે. દેશના આર્થિક વિકાસમાં આજે પણ ગુજરાત 10 ટકાથી વધુ ફાળો આપી રહ્યું છે. વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિકોની સફળતા પાછળ પણ ગુજરાતનું નામ જોડાયેલું છે, જે કોંગ્રેસે કદાચ વિસારે પાડ્યું છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ હંમેશા જાતિવાદ અને તુષ્ટિકરણની રાજનીતિ કરીને સમાજમાં ભાગલા પાડવાનું કામ કરતી આવી છે. મોટી સંખ્યામાં કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો ગાંધીનગર શહેર ભાજપના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હતો. ભાજપના મતે મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન માત્ર પક્ષલક્ષી નથી પરંતુ તે રાજ્યની જનતાનું અપમાન છે જેને ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે. એક તરફ કોંગ્રેસના નિવેદનો અને બીજી તરફ ભાજપનો આ મૌન વિરોધ આગામી દિવસોમાં રાજ્યના રાજકારણમાં નવા વળાંકો લાવશે તેવું જણાઈ રહ્યું છે. હાલ તો ભાજપે આ મૌન આંદોલન દ્વારા કોંગ્રેસના નેતૃત્વને ઘેરવાની રણનીતિ અપનાવી છે.
Read Original Article →