પરિવારના મોભીને કાળ ભરખી ગયો:અડાલજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે શ્રદ્ધાળુનું કરુણ મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર

Gujarat4/13/2026, 2:04:25 PM
પરિવારના મોભીને કાળ ભરખી ગયો:અડાલજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે શ્રદ્ધાળુનું કરુણ મોત, અકસ્માત સર્જી ચાલક ફરાર
કલોલના કોઠા ગામે હડકાઈ માતાના મંદિરે દર્શન કરીને ઘરે પરત જઈ રહેલા અમદાવાદના નોબલનગરના આધેડનું અડાલજ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નરસિંહભાઈ મિત્ર સાથે માતાજીના દર્શને ગયા હતા અમદાવાદના નોબલનગર વિસ્તારમાં રહેતા નરસિંહભાઈ ચૌહાણ 11 એપ્રિલના રોજ રાત્રિના સમયે પોતાના મિત્ર શિવાભાઈ પરમાર સાથે કોઠાડ હડકાઈ માતાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. મોડી રાત્રે તેમણે ઘરે ફોન કરીને પોતે મંદિરે પહોંચ્યા હોવાની અને ત્યારબાદ પરત નીકળ્યા હોવાની જાણ પણ કરી હતી. પરિવારને પોલીસે અકસ્માતની જાણ કરી જોકે વહેલી સવાર સુધી તેઓ ઘરે ન પહોંચતા પરિવાર ચિંતામાં મુકાયો હતો.અને પરિવારજનો સતત નરસિંહભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ફોન રિસીવ થતો ન હતો. આ દરમિયાન 13 એપ્રિલની સવારે જ્યારે ફરી પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે અડાલજ પોલીસ સ્ટેશનના કર્મચારીએ ફોન ઉઠાવી પરિવારને અકસ્માત અંગે જાણ કરી હતી. પોલીસે પરિવારને જણાવ્યું હતું કે, અડાલજથી કોઠા તરફ જતાં રોડ પર રામાપીરના મંદિર પાસે કોઈ અજાણ્યા વાહને નરસિંહભાઈને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં નરસિંહભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઇજાઓ પહોંચી હતી. જેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો.આ સાંભળી પરિવારજનો સિવિલ દોડી ગયા હતા. આ અંગે મૃતકના પત્ની રાધાબેન ચૌહાણની ફરિયાદના આધારે અડાલજ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Read Original Article →