સાપુતારાના નવાગામ તળાવમાં કૂદી કિશોરીની આત્મહત્યા:પ્રેમ સંબંધમાં નિરાશાથી માનસિક વ્યથિત બની જીવન ટૂંકાવ્યું, પ્રેમીના લગ્ન અન્ય યુવતી સાથે નક્કી થયા હતા
ડાંગ જિલ્લામાં આવેલ પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારાના નવાગામ તળાવ ખાતે એક હ્રદયવિદારી ઘટના સામે આવી છે, જેમાં એક કિશોરીએ તળાવમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાવી દીધી છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, કિશોરી પોતાના પ્રેમી સાથે સંબંધમાં હતી. પરંતુ છેલ્લા સમયમાં તેના પ્રેમીનો અન્ય એક યુવતી સાથે લગ્ન કરવાની ચર્ચા ચાલી રહી હોવાનું કિશોરીએ સાંભળ્યું હતું. આ વાતથી કિશોરી માનસિક રીતે અત્યંત વ્યથિત બની ગઈ હતી. અંતે આ દુઃખ સહન ન કરી શકતાં કિશોરીએ પોતાની રીતે નવાગામ તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે જ હોમગાર્ડના જવાનો, સાપુતારા બોટિંગ સ્ટાફ અને નોટિફાઈડ ફાયર વિભાગની ટીમ પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. તમામ ટીમોએ તળાવમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. અંદાજે દોઢ કલાકની ભારે મહેનત બાદ કિશોરીની લાશ તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસ દ્વારા કિશોરીની લાશનો કબજો મેળવી તેને શામગહાન CHC દવાખાને ખસેડવામાં આવી હતી, જ્યાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. હાલ સાપુતારા પોલીસે આ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને આત્મહત્યાના ચોક્કસ કારણો અંગે વિગતવાર માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. આ ઘટના યુવાનોમાં વધતી માનસિક તણાવ અને લાગણીશીલ નબળાઈ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સમાજ અને પરિવાર દ્વારા આવા સંજોગોમાં યોગ્ય માર્ગદર્શન અને સહકાર આપવાની જરૂરિયાત પણ આ બનાવ દ્વારા ઉજાગર થાય છે.
Read Original Article →