દાહોદ APMC ચૂંટણીમાં ભાજપનો આંતરિક ભડકો:પક્ષના મેન્ડેટ સામે ભાજપના જ ડિરેક્ટરોનો બળવો, ચર્ચાના બહાને બહાર નીકળી ગયા; ચેરમેન પદની ચૂંટણી મોકૂફ
દાહોદ માર્કેટ યાર્ડ (APMC)ના ચેરમેન પદની ચૂંટણી પ્રક્રિયામાં આજે રાજકીય ભૂકંપ જોવા મળ્યો હતો. ભાજપના સત્તાધારી પક્ષના મેન્ડેટ સામે પોતાના જ સભ્યોએ બળવો પોકારતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવાની ફરજ પડી હતી. ગુજરાતના સહકારી ક્ષેત્રના ઈતિહાસમાં આ પ્રકારની ઘટના અત્યંત દુર્લભ ગણાય છે, જ્યાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં આંતરિક વિખવાદને કારણે ચૂંટણી પ્રક્રિયા અધવચ્ચે અટકાવવી પડી હોય તેમ લાગી રહ્યુ છે. ચૂંટણી પ્રક્રિયા નિર્ધારિત સમય મુજબ સવારે 11:00 વાગ્યે શરૂ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કુલ 16 ચૂંટાયેલા ડિરેક્ટરો અને 2 સરકારી અધિકારીઓ મળીને કુલ 18 સભ્યો સભાખંડમાં ઉપસ્થિત હતા. આ 18 સભ્યોના ગણિતમાં 8 ભાજપના ડિરેક્ટરો, 2 કોંગ્રેસના ડિરેક્ટરો, 4 વેપારી વિભાગના ભાજપના ડિરેક્ટરો અને 2 સંઘના ભાજપના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ સિવાય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રતિનિધિ તરીકે નગરપાલિકાના સભ્યની નિમણૂક હજુ બાકી છે. ચૂંટણી અધિકારી અને પંચમહાલ જિલ્લા રજીસ્ટ્રાર દિનેશ ખેરની ઉપસ્થિતિમાં સૌપ્રથમ એક સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ જેવું ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવાનું નક્કી થયું, તેવા જ સમયે ભાજપના ડિરેક્ટરોએ પક્ષ દ્વારા મોકલવામાં આવેલા મેન્ડેટમાં જાહેર કરાયેલા નામ સામે નારાજગી વ્યક્ત કરી હતી. સભ્યોએ મેન્ડેટમાં જાહેર થયેલા નામ અંગે કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર જ 'બહાર જઈને ચર્ચા કરીને આવીએ છીએ' તેવું બહાનું રજૂ કર્યું હતું. આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી અને સસ્પેન્સ યથાવત રહ્યું હતું. ભાજપના ડિરેક્ટરો સભાખંડની બહાર નીકળ્યા બાદ બપોરે 1:00 વાગ્યા સુધી પરત ફર્યા નહોતા. ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે સભ્યોએ ઇનકાર કરતા કે હાજર ન રહેતા, ચૂંટણી અધિકારીએ નિયમોનુસાર ચૂંટણી પ્રક્રિયા મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. ચેરમેન પદ માટે કયા ઉમેદવારનું નામ જાહેર થયું છે તે અંગે સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારની ચર્ચા ડિરેક્ટરો વચ્ચે થઈ ન હતી, જે દર્શાવે છે કે ભાજપના આંતરિક જૂથવાદ અને ખેંચતાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી દાહોદ APMCમાં ચેરમેન પદને લઈને આંતરિક ખેંચતાણ ચાલી રહી હતી. ભાજપની બહુમતી હોવા છતાં, પક્ષ દ્વારા જે નામ પર મહોર મારવામાં આવી હતી, તે નામ અન્ય ડિરેક્ટરોને સ્વીકાર્ય ન હોવાથી આ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જણાય છે. પક્ષના મેન્ડેટને ઠોકર મારીને ડિરેક્ટરોએ જે રીતે વોકઆઉટ કર્યું છે, તે ભાજપ માટે મોટો ફટકો છે.
હવે આગામી સમયમાં ફરીથી ક્યારે ચૂંટણી યોજાશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ચૂંટણી મોકૂફ રહેતા સમગ્ર જિલ્લાના રાજકીય અને સહકારી વર્તુળોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. ભાજપના સંગઠન માટે હવે આ આંતરિક નારાજગી દૂર કરવી અને સર્વસંમતિ સાધવી એક મોટો પડકાર બન્યો છે.ચૂંટણી અધિકારી દ્વારા આગળની કાર્યવાહી અંગેની જાણ સંબંધિત ઉચ્ચ કક્ષાએ કરવામાં આવશે.
Read Original Article →