છોટા ઉદેપુરના ફતેપુરામાં એક મકાનમાં આગ:રહેણાંક મકાનમાં ભીષણ આગમાં ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થયો, જીવનભરની મૂડી રાખમાં ફેરવાઈ

Gujarat4/6/2026, 10:26:55 AM
છોટા ઉદેપુરના ફતેપુરામાં એક મકાનમાં આગ:રહેણાંક મકાનમાં ભીષણ આગમાં ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થયો, જીવનભરની મૂડી રાખમાં ફેરવાઈ
છોટા ઉદેપુર નગરના ફતેપુરા વિસ્તારમાં સોમવારે એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં મકાનમાં રાખેલી તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો છે. મહેનત મજૂરી કરીને ભેગી કરેલી જીવનભરની મૂડી નષ્ટ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બંધ મકાનમાં આગ લાગી મળતી માહિતી મુજબ, ફતેપુરા વિસ્તારમાં રહેતા મંગીબેન ધનજીભાઈ તડવીના પરિવારના સભ્યો જ્યારે પડોશમાં ગયા હતા, તે દરમિયાન બંધ મકાનમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા ઘરને લપેટમાં લઈ લીધું હતું. ફાયર વિભાગની કામગીરી ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પરિવારજનોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ભીષણ હતી કે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ ઘરમાં રહેલી અનાજની ગુણીઓ, કપડાં અને અન્ય ઘરવખરી બળીને રાખ થઈ ગઈ હતી. પરિવારમાં આક્રંદ આખી જિંદગીની મહેનતથી વસાવેલો સામાન નજર સામે જ નાશ પામતા પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનામાં પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
Read Original Article →