સાયબર ક્રાઈમ કાર્યવાહી:ગઢડા પંથકમાં સેંકડો બેંક ખાતા ફ્રીઝ : નિર્દોષ વેપારીઓ પણ ભોગ બન્યા

Gujarat4/10/2026, 12:00:00 AM
ગઢડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બેંક ખાતું ધરાવતા અનેક ખાતેદારોના બેંક ખાતા ફ્રીઝ થઈ જવાના કિસ્સાઓથી બેન્કમાં જવાબદાર અધિકારીઓની અરજદારો સાથે લમણાઝિંક અને કામગીરી વધી જતા બેંકની કામગીરી ઉપર અસર પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તેમજ નિયમિત રીતે ધંધાકીય નાણાંકીય વહેવાર ધરાવતા લોકો પણ ભોગ બની રહ્યા હોવાના કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ ગઢડા શહેર અને ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અનેક ખાતેદારોના બેંક ખાતા અચાનક 'ફ્રીઝ' (સ્થગિત) થઈ જવાની ઘટનાઓએ જોર પકડ્યું છે. બેંકોમાં પૂછપરછ માટે આવતા અરજદારો અને બેંક અધિકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, જેના કારણે બેંકિંગ કામગીરી પર માઠી અસર પડી રહી છે. આ સમસ્યા પાછળ ઓનલાઈન ગેમિંગ, સટ્ટો અને 'મ્યુલ એકાઉન્ટ'નો ગેરકાયદેસર વ્યવહાર મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે. વર્તમાન સમયમાં ઓનલાઈન ગેમિંગ અને હાર-જીતના સટ્ટાની એપ્લિકેશન દ્વારા રાતોરાત રૂપિયા કમાઈ લેવાની લાલચમાં અનેક લોકો ફસાયા છે. સરકાર દ્વારા આવી પ્રવૃત્તિઓને ગેરકાયદેસર જાહેર કરી સાયબર ક્રાઈમ વિભાગને વિશેષ સત્તા સોંપવામાં આવી છે. જ્યારે પણ કોઈ બેંક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જણાય, ત્યારે સાયબર પોલીસ તાત્કાલિક તે ખાતું ફ્રીઝ કરી દે છે. આ ઉપરાંત, માસિક આવકની લાલચે પોતાના બેંક ખાતા અન્ય શખ્સોને (મ્યુલ એકાઉન્ટ તરીકે) વાપરવા આપનારા લોકો પણ મોટી મુસીબતમાં મુકાયા છે. આ મામલામાં સૌથી વધુ ચિંતાજનક બાબત 'ચેઈન રિએક્શન' છે. જો કોઈ શંકાસ્પદ ખાતામાંથી કોઈ નિર્દોષ વેપારી કે વ્યક્તિના ખાતામાં નાણાં ટ્રાન્સફર થાય, તો તપાસના ભાગરૂપે તે નિર્દોષ વ્યક્તિનું ખાતું પણ ફ્રીઝ કરી દેવામાં આવે છે. આના કારણે અનેક પ્રામાણિક વેપારીઓ પણ અડફેટે ચડી ગયા છે અને ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા ડરી રહ્યા છે. કાયદાકીય પ્રક્રિયાનો ગૂંચવાડો ખાતું ફરી શરૂ કરાવવા માટે ખાતેદારોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. ઘણા કિસ્સાઓમાં અન્ય રાજ્યોની પોલીસ દ્વારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હોવાથી, સામાન્ય માણસ માટે ત્યાં જઈને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવી અશક્ય બની જાય છે. અંતે, કંટાળીને લોકો પોતાના જ કાયદેસરના નાણાં અને ખાતા જતાં કરે તેવો ઘાટ સર્જાયો છે. ચેપી રોગની જેમ ફેલાતી સમસ્યા : સાવચેતી જ સલામતી એક તરફ પ્રતિબંધિત ગેમિંગ એપ્લિકેશનો સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે બીજી તરફ લોકોએ જાગૃત બનવાની જરૂર છે. અજાણ્યા સ્ત્રોતથી નાણાં લેવા કે પોતાના ખાતાનો એક્સેસ અન્યને આપવો એ જેલના દ્વાર ખોલવા સમાન છે. ડિજિટલ યુગમાં સાવધાનીપૂર્વક વ્યવહાર કરવો એ જ આ મુસીબતમાંથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તેમ સાઇબર ક્રાઇમ નિષ્ણાતોનું માનવું છે.
Read Original Article →