રાણપુર નજીક બોટાદના યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા:પ્રેમ પ્રકરણમાં હુમલો, સારવાર દરમિયાન મોત નીપજ્યું
બોટાદ જિલ્લામાં એક હત્યાની ઘટના સામે આવી છે. રાણપુર તાલુકાના અળવ ગામ નજીક બોટાદ શહેરના ખોડિયારનગર-2 વિસ્તારમાં રહેતા હર્ષ દશરથભાઈ ચૌહાણ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ હુમલો ગઈકાલે રાત્રિના સમયે થયો હતો. હુમલા બાદ પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હર્ષ ચૌહાણને સારવાર માટે પ્રથમ બોટાદની હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડ્યા હતા. જોકે, ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને લઈ આ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓની ઓળખ કરવા અને ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →