બોટાદથી સાળંગપુર-બરવાળાને જોડતો માર્ગ બિસમાર હાલતમાં:ઠેર ઠેર મોટા ખાડા પડતા વાહનચાલકોને હાલાકી, અકસ્માતનો ભય, રસ્તાનું સમારકામ કરવાની માંગ
બોટાદથી સાળંગપુર અને બરવાળાને જોડતો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાળંગપુર ખાતે આવેલું કષ્ટભંજન હનુમાનજી મંદિર રાજ્યભરમાં પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે, જ્યાં દરરોજ હજારો હરિભક્તો દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત, બોટાદથી અમદાવાદ જવા માટે પણ આ માર્ગ મહત્વપૂર્ણ ગણાય છે. તેમ છતાં, છેલ્લા કેટલાક સમયથી આ માર્ગની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે. રસ્તા પર પડેલા ખાડાઓના કારણે વાહનોને ધીમી ગતિએ ચલાવવા પડે છે, જેનાથી મુસાફરીનો સમય વધે છે અને અકસ્માતનો ભય પણ સતત રહે છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ અંગે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. વાહનચાલકો, યાત્રાળુઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા તંત્રને તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરી ખાડાઓ પૂરવાની માંગ કરવામાં આવી છે, જેથી લોકોની મુશ્કેલીઓનો અંત આવે અને અકસ્માતની શક્યતાઓ ઘટે. સ્થાનિક સંજય ખામભળીયાએ જણાવ્યું કે, સાળંગપુરથી બોટાદનો રોડ ખુબ બિસમાર છે. છેલ્લા 2 વર્ષથી રોડ પર ખાડા પડી ગયા છે. યાત્રાધામમાં આવતા લોકો પણ ખુબ હેરાન થાય છે. શનિ, રવિ, મંગળવારે સાળંગપુર જવા માટે આ રોડ પર ખુબ ટ્રાફિક હોય છે. લોકોની ગાડીઓ ખોટવાઈ જાય છે, ગાડીના જમ્પર તૂટી જાય છે, પણ આ રોડનું કામ ચાલુ કરતા નથી. આ રોડનું કામ બે વર્ષથી મંજૂર થઈ ગયું છે પણ કોઈ જોવા પણ નથી આવતું. અમારી માંગ છે કે, વહેલી તકે આ રોડનું કામ ચાલુ કરે. રીક્ષાચાલક મુકેશ પરમાર જણાવ્યું કે, અત્યારે રોડની સ્થિતિ એટલી ખરાબ છે કે યાત્રિકો આવે તો એને પણ નુકસાન થાય છે, અમને પણ નુકસાન થયા છે. અકસ્માત પણ ખુબ થાય છે. અમે ખાડો તારવવા જઈએ તો અકસ્માત થઈ જાય છે. સરકારને વિનંતી છે કે, બોટાદથી બરવાળા-સાળંગપુર સુધીનો રસ્તો અમને કરી આપે.
Read Original Article →